બાંગ્લાદેશના લોકો હવે ભૂતપૂર્વ પીએમ શેખ હસીના દ્વારા અગાઉ આપવામાં આવેલા નિવેદનો સાંભળી શકશે નહીં. બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા પ્રોફેસર મોહમ્મદ યુનુસ દ્વારા દેશના મીડિયા સંગઠનોને આપવામાં આવેલી કડક ચેતવણી છે. યુનુસ સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે જો કોઈ અખબાર, ટીવી ચેનલ અથવા ઓનલાઈન પોર્ટલ ભૂતપૂર્વ પીએમ શેખ હસીનાના નિવેદનો પ્રકાશિત અથવા પ્રસારિત કરાશે તો તેમની સામે તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
વચગાળાની સરકારે શેખ હસીનાને ઠેરવ્યા દોષિત
બાંગ્લાદેશની વચગાળાની સરકારે સ્પષ્ટ કર્યું છે કે શેખ હસીના સંબંધિત કોઈપણ ભાષણ કે નિવેદન હવે પ્રસારિત કરી શકાશે નહીં. મીડિયાને સાવધ રહેવા અને કાયદાનું પાલન કરવાની કડક સૂચના આપવામાં આવી છે. જો આવું નહીં કરવામાં આવે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સરકારની પ્રેસ શાખા દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કેટલીક મીડિયા સંસ્થાઓએ કોર્ટ અને કાયદાની અવગણના કરીને શેખ હસીનાના ભાષણનું પ્રસારણ કર્યું હતું. સરકારના મતે, આ ભાષણમાં તેમણે ઘણા ભ્રામક અને ઉશ્કેરણીજનક દાવા કર્યા હતા. સરકારી નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે શેખ હસીનાને દોષિત ઠેરવ્યા છે. વચગાળાની સરકારે શેખ હસીનાને દોષિત ગુનેગાર અને માનવતા વિરોધી ગુનાઓમાં ફરાર આરોપી તરીકે વર્ણવ્યા છે. આ સાથે, એવું કહેવામાં આવ્યું હતું કે ટીવી અથવા ઓનલાઈન પ્લેટફોર્મ પર તેમનો ઓડિયો અથવા નિવેદન પ્રસારિત કરવું એ 2009 ના આતંકવાદ વિરોધી કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે.
લોકશાહી સંક્રમણની સ્થિરતા પર ખતરો
સરકારનું કહેવું છે કે હસીનાના નિવેદનો માત્ર જનતાને ગેરમાર્ગે દોરે છે. પરંતુ દેશના લોકશાહી સંક્રમણની સ્થિરતા અને શાંતિ માટે પણ ખતરો ઉભો કરી શકે છે. નિવેદનમાં મીડિયાને જવાબદારીપૂર્વક કાર્ય કરવાની અપીલ કરવામાં આવી છે અને ચેતવણી આપવામાં આવી છે કે આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર કોઈપણ સંસ્થા સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. નિવેદનમાં એ પણ ઉદાહરણ આપવામાં આવ્યું હતું કે ગયા વર્ષે ડિસેમ્બરમાં, ભૂતપૂર્વ યુગોસ્લાવિયાના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે પણ સરમુખત્યારના નફરત ફેલાવતા નિવેદનોના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો હતો.