આ નિર્ણયથી પાકિસ્તાનમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા અને મીડિયાની સ્વતંત્રતા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ગંભીર પ્રશ્નો
પાકિસ્તાનમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ અને વીડિયો શેર કરવા ઘણા પત્રકારો અને વિશ્લેષકો માટે મોંઘા સાબિત થયા છે. પાકિસ્તાનની આતંકવાદ વિરોધી કોર્ટે ચાર પત્રકારો સહિત આઠ લોકોને સમાન કેસોમાં આજીવન કેદની સજા ફટકારી છે. બધી સજા તેમની ગેરહાજરીમાં આપવામાં આવી હતી.
શું હતો મામલો ?
આ કેસ 9 મે, 2023 ના રોજ થયેલી હિંસા સાથે સંબંધિત છે.જ્યારે ઇમરાન ખાનની ધરપકડ બાદ તેમના સમર્થકોએ અનેક લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ, સરકાર અને સૈન્યએ ઇમરાન ખાનની પાર્ટી, પીટીઆઈ અને ટીકાત્મક અવાજો સામે કાર્યવાહી શરૂ કરી. આજીવન કેદની સજા પામેલાઓમાં ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓથી યુટ્યુબર્સ બનેલા આદિલ રાજા અને સૈયદ અકબર હુસૈન, પત્રકારો વજાહત સઈદ ખાન, સાબીર શાકિર અને શાહીન સેહબાઈ, વિવેચક હૈદર રઝા મેહદી અને વિશ્લેષક મોઈદ પીરઝાદાનો સમાવેશ થાય છે.
માનવાધિકાર સંગઠનો તરફથી તીવ્ર પ્રતિક્રિયા
પત્રકારોની સુરક્ષા માટે કામ કરતી સંસ્થા, કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ્સે આ કાર્યવાહીને બદલાની રાજનીતિ ગણાવી છે. સંગઠનનું કહેવું છે કે આ પગલું ટીકાત્મક પત્રકારત્વને દબાવવા અને મીડિયાને ડરાવવા માટે લેવામાં આવ્યું છે. CPJએ માંગ કરી છે કે આ કેસોને તાત્કાલિક રદ કરવામાં આવે અને પત્રકારો સામે ધાકધમકી અને સેન્સરશીપ બંધ કરવામાં આવે. નિષ્ણાતો માને છે કે ઇમરાન ખાનની ધરપકડ પછી પાકિસ્તાનમાં રાજકીય વાતાવરણ અત્યંત તંગ બની ગયું છે.
