અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર વધારાનો 50 ટકા ટેરિફ લાદ્યો છે. આ દરમિયાન, રશિયાના વિદેશ પ્રધાન સેરગેઈ લાવરોવે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. શનિવારે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા 50 ટકાના ભારે ટેરિફ વચ્ચે, લાવરોવે ભારતની તેલ વેપાર નીતિઓ પર ભારતના વલણને સમર્થન આપ્યું હતું. લાવરોવે જણાવ્યું હતું કે ભારત તેલ વેપાર અંગે પોતાના નિર્ણયો લેવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે અને તેમના ભારતીય સમકક્ષ એસ. જયશંકરની પ્રશંસા કરી હતી. લાવરોવે કહ્યું હતું કે તેઓ જયશંકર સાથેની વાતચીતમાં ક્યારેય તેલ અને વેપારનો મુદ્દો ઉઠાવતા નથી, કારણ કે ભારત પોતાના નિર્ણયો લેવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે.
ભારત નિર્ણયો લેવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે
રશિયાના વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવે કહ્યું, હું એ પણ પૂછતો નથી કે આપણા વેપાર સંબંધોનું શું થશે, આપણા તેલનું શું થશે. હું મારા ભારતીય સાથીદારોને આ પ્રશ્નો પૂછતો નથી. તેઓ આ નિર્ણયો પોતે લેવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. લવરોવે ભારતના સ્વાભિમાનની પણ પ્રશંસા કરી અને ભારતની તેલ વેપાર નીતિઓ પરના તેના વલણને ટેકો આપ્યો. તેમણે કહ્યું, જાહેરમાં, મારા મિત્ર (જયશંકર), જેમનો મેં અગાઉ ઉલ્લેખ કર્યો હતો, જ્યારે તેમને આવો જ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે જો અમેરિકા તેનું તેલ અમને વેચવા માગે છે, તો અમે શરતો પર ચર્ચા કરવા તૈયાર છીએ. પરંતુ આપણે જે તેલ અન્ય દેશો પાસેથી ખરીદીએ છીએ, પછી ભલે તે રશિયા પાસેથી હોય કે અન્ય કોઈ પાસેથી, તે આપણો પોતાનો મામલો છે. તેનો ભારત-અમેરિકાના એજન્ડા સાથે કોઈ લેવાદેવા નથી. મારું માનવું છે કે આ એક ખૂબ જ સાચી પ્રતિક્રિયા છે, જે દર્શાવે છે કે તુર્કીની જેમ ભારત પણ આત્મસન્માન ધરાવે છે.













