આખી દુનિયા જેની રાહ જોઇરહી હતી તે અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ કરાર થયો છે. અમેરિકાએ આ શાંતિ કરારના દસ્તાવેજો જાહેર કર્યા છે . બીજી તરફ ઇરાને પણ પોતાના સરકારી ટીવી મારફતે આ જ પ્રકારના દસ્તાવેજો જાહેર કર્યા છે. બંને દેશો વચ્ચે શાંતિ કરાર થતાં હાશકારો થયો ચે કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સીલ થવાના કારણે વિશ્વના ઘણા દેશોમાં કાચા ઓઇલની તંગી પેદા થઇ ગઇ હતી. ભારત પણ તેમાં બાકાત ન હતું.


જહાજોની આવાજાહી સામાન્ય ક્યારે થશે

જો કે ઇરાન અને અમેરિકા વચ્ચે હાલ ભલે સંધી થઇ ગઇ હોય પણ આ સંધીના કારણે સામાન્ય જનતાને ક્યારે લાભ થશે અથવા સ્ટ્રેટમાંથી જહાજોની આવાજાહી સામાન્ય ક્યારે થશે તેના પર સૌથી વધુ ચર્ચા ચાલી રહી છે. તમારા મનમાં પણ આ જ સવાલો હશે જેનો આજે સંદેશ એક્સપ્લેનર દ્વારા અમે અહીં સમજાવાનો પ્રયાસ કર્યો છે




આ 14 મુદ્દાઓ પર સધાઇ સમજૂતી

અમેરીકા અને ઇરાન વચ્ચે થયેલા શાંતિ કરારમાં 14 મુદ્દા અગત્યના છે

૧. યુદ્ધનો કાયમી અંત: લેબનોન સહિત તમામ મોરચે લશ્કરી કાર્યવાહીનો તાત્કાલિક અને કાયમી અંત.

૨. બળનો ઉપયોગ નહીં: કોઈ પણ દેશ એકબીજા વિરુદ્ધ યુદ્ધ કે લશ્કરી ધમકીનો ઉપયોગ કરશે નહીં.

૩. સાર્વભૌમત્વનો આદર: બંને દેશો એકબીજાના આંતરિક મામલામાં દખલગીરી નહીં કરે.

૪. વાટાઘાટો માટે સમયસીમા: મહત્તમ ૬૦ દિવસમાં અંતિમ કરાર સુધી પહોંચવાની કટિબદ્ધતા.

૫. નૌકાદળ નાકાબંધી હટાવવી: અમેરિકા ૩૦ દિવસમાં ઈરાન વિરુદ્ધની નૌકાદળ નાકાબંધી સંપૂર્ણપણે દૂર કરશે.

૬. સૈનિકોની વાપસી: અંતિમ કરારના ૩૦ દિવસમાં અમેરિકા ઈરાનની આસપાસથી પોતાના દળો પાછા ખેંચશે.

૭. જહાજોની સુરક્ષિત અવરજવર: ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં ૬૦ દિવસ માટે વ્યવસાયિક જહાજોને સુરક્ષિત માર્ગ આપશે.

૮. દરિયાઈ શાસન: ઓમાન સાથે મળીને ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ સેવાઓ અને ભાવિ નિયમો નક્કી કરશે.

૯. આર્થિક પુનર્નિર્માણ: ઈરાનના વિકાસ માટે ૩૦૦ અબજ ડોલરની યોજના વિકસાવવામાં આવશે.

૧૦. પ્રતિબંધોમાં રાહત: અંતિમ કરાર હેઠળ ઈરાન સામેના તમામ યુએસ અને યુએન પ્રતિબંધો હટાવવામાં આવશે.

૧૧. પરમાણુ શસ્ત્રોનો ત્યાગ: ઈરાન પરમાણુ શસ્ત્રો વિકસાવશે નહીં અને IAEA ની દેખરેખ હેઠળ સામગ્રીનો નિકાલ કરશે.

૧૨. યથાવત્ સ્થિતિ (Status Quo): કરાર પૂર્ણ ન થાય ત્યાં સુધી બંને પક્ષો નવી સૈન્ય તૈનાતી કે નવા પ્રતિબંધો ટાળશે.

૧૩. નિકાસમાં છૂટછાટ: પ્રતિબંધો સંપૂર્ણ ન હટે ત્યાં સુધી ઈરાની તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ માટે ખાસ છૂટ અપાશે.

૧૪. દેખરેખ તંત્ર: કરારના સફળ અમલીકરણ માટે એક સંયુક્ત એક્ઝિક્યુટિવ મિકેનિઝમ સ્થાપવામાં આવશે.





આ રહ્યા તમારા મનના સવાલો 


પ્રશ્ન ૧. અમેરિકા-ઈરાન શાંતિ કરાર પછી હોર્મુઝ સ્ટ્રેટમાં શું પરિસ્થિતિ છે?

જવાબ: જહાજોની અવરજવર ધીમે ધીમે ફરી શરૂ થઈ છે, પરંતુ ટ્રાફિક ખૂબ જ મર્યાદિત છે. ફક્ત થોડા જહાજો જ સ્ટ્રેટમાંથી પસાર થઈ શક્યા છે, અને મોટાભાગના હજુ પણ રાહ જોવાની સ્થિતિમાં છે.

પ્રશ્ન ૨. હાલમાં કેટલા જહાજો ફસાયેલા છે?

જવાબ: વિવિધ ટ્રેકિંગ અંદાજો અનુસાર, આશરે 500થી 1500 જહાજો હજુ પણ સ્ટ્રેટમાં ફસાયેલા છે અથવા પોતાની મુળ જગ્યાએ જ રોકાયેલા છે

પ્રશ્ન ૩. શું જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા લાગ્યા છે?

જવાબ: હા. કેટલાક ભારતીય, ઈરાની અને અન્ય ટેન્કરોએ સ્ટ્રેટમાંથી પસાર થવાનું શરૂ કરી દીધું છે. માલ્ટા-ધ્વજવંદન ગેસ ટેન્કર "દિશા" ટ્રાન્ઝિટ કરનારા પ્રથમ જહાજોમાંનું એક હતું.

પ્રશ્ન ૪. તો પછી મોટાભાગના જહાજો શા માટે ફસાયેલા છે?

જવાબ: શિપિંગ કંપનીઓ અને શિપ ઓપરેટરો હજુ પણ સુરક્ષા, વીમા અને ઔપચારિક રાજદ્વારી મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. તેમને ખાતરીની જરૂર છે કે કરાર કાયમી ધોરણે અમલમાં આવશે અને રૂટ સુરક્ષિત રહેશે.

પ્રશ્ન ૫. લાઈવ ટ્રેકર્સ શું બતાવી રહ્યા છે?

જવાબ: AIS એટલે કે ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ ટ્રેકિંગ ડેટા પરથી જાણવા મળ્યું છે કે ઘણા જહાજો, ખાસ કરીને જે ભારત સાથે જોડાયેલા છે, શારજાહ અને ફુજૈરાહ વિસ્તારની નજીક હોલ્ડિંગ પેટર્નમાં છે. આનો અર્થ એ છે કે તેઓ આગળ વધવાને બદલે ક્લિયરન્સની રાહ જોઈ રહ્યા છે.

પ્રશ્ન 6. ભારતીય જહાજોની સ્થિતિ શું છે?

જવાબ: ભારત સાથે જોડાયેલા કુલ 23 જહાજોને વિશાળ ગલ્ફ ક્ષેત્રમાં ટ્રેક કરવામાં આવ્યા છે જેમાં 9 જહાજો પર્સિયન ગલ્ફની અંદર છે જ્યારે 8 જહાજો ફુજૈરાહ-ખોર ફક્કન વિસ્તારમાં છે. ઘણા ભારતીય ટેન્કરો હજુ પણ હોર્મુઝ સ્ટ્રેટની બંને બાજુ રાહ જોઈ રહ્યા છે.

પ્રશ્ન 7. શું હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલી ગયું છે?

જવાબ: ના. શાંતિ કરાર હોવા છતાં, શિપિંગનું સામાન્ય સ્તર હજુ સુધી ફરી શરૂ થયું નથી. ઉદ્યોગ નિષ્ણાતો કહે છે કે સંપૂર્ણ સામાન્યતા પરત આવવામાં ઘણા અઠવાડિયા લાગી શકે છે.

પ્રશ્ન 8. યુદ્ધ પહેલા દરરોજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી કેટલા જહાજો પસાર થતા હતા?

જવાબ: યુદ્ધ અને ત્યારબાદ સર્જાયેલી કટોકટી પહેલા, દરરોજ આશરે 130 જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા હતા.

પ્રશ્ન 9. હાલમાં કેટલા જહાજો પસાર થઈ રહ્યા છે?

જવાબ: અહેવાલો અનુસાર, હાલમાં મર્યાદિત સંખ્યામાં જ જહાજો પસાર થઈ રહ્યા છે. કેટલાક વિશ્લેષકોનો અંદાજ છે કે શરૂઆતના તબક્કામાં દરરોજ લગભગ 15 જહાજો પસાર થયા હશે, જ્યારે સામાન્ય સ્તર અનેક ગણું વધારે હતું.

પ્રશ્ન 10. આગળનો સૌથી મોટો વિવાદ કયો છે?

જવાબ: હોર્મુઝ સ્ટ્રેટના ભાવિ નિયંત્રણ અને સંભવિત ટોલ અંગે અમેરિકા અને ઈરાન વચ્ચે મતભેદો યથાવત છે. ઈરાન આ માર્ગ પર વધુ નિયંત્રણ ઇચ્છે છે, જ્યારે અમેરિકા અને તેના સાથીઓ તેને મુક્ત આંતરરાષ્ટ્રીય જળમાર્ગ રાખવાની તરફેણ કરે છે.



આ પણ વાંચો----     Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી

  • Follow us on: