ઈરાનના દિવંગત સુપ્રીમ લીડર આયતોલ્લાહ અલી ખામેનેઈની અંતિમવિધિની સત્તાવાર તારીખો જાહેર કરવામાં આવી છે. તેહરાન પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ખામેનેઈના રાજકીય સન્માન સાથેના અંતિમ સંસ્કારની પ્રક્રિયા આગામી 4 જુલાઈથી શરૂ થશે, જ્યારે 9 જુલાઈના રોજ તેમને મશહદ શહેરમાં દફનાવવામાં આવશે.
ક્યારે થશે દફનવિધિ ?
દેશમાં હાલ ચાલી રહેલા પવિત્ર મોહરર્મના આયોજનોને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. તેહરાનના મેયર અલીરેઝા ઝકાનીએ જણાવ્યું હતું કે, પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં ફેરફાર કરીને દિવંગત સુપ્રીમ લીડરની અંતિમવિધિ હાલ પૂરતી ટાળવામાં આવી છે. આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ એ છે કે મોહરર્મ દરમિયાન યોજાતી પરંપરાગત શોક સભાઓ અને ધાર્મિક આયોજનોમાં કોઈ અવરોધ ઊભો ન થાય.
Also Read
Iranના પૂર્વ સુપ્રીમ લીડર ખામેનેઇને 3 મહિના પછી અંતિમ વિદાય અપાશે, મશહદમાં દફનાવાશે
Mojtaba khamenei : પગ કપાયો, ચહેરો દાઝ્યો, હુમલામાં ગંભીર રીતે ઘાયલ મોજતબા ખામેનેઇની થઇ શકે પ્લાસ્ટીક સર્જરી
Strait of Hormuz : 'કોઈ મૂર્ખના ટ્વિટ પર નહીં, ઇમામ ખામેનેઇના આદેશ પર હોર્મુઝ ફરીથી ખોલાશે' ઇરાની નૌકાદળની ખુલ્લી ચેતવણી
મોહરર્મના પવિત્ર દિવસો બાદ યોજાશે અંતિમ સંસ્કાર
એક ન્યૂઝ એજન્સીને આપેલા નિવેદનમાં મેયર અલીરેઝા ઝકાનીએ સ્પષ્ટ કર્યું હતું કે, અંતિમ સંસ્કારની વિધિ મોહરર્મના પ્રથમ 10 દિવસો પૂર્ણ થયા બાદ કરવાનો નિર્ણય લેવાયો છે. આ પગલું એટલા માટે ભરવામાં આવ્યું છે જેથી દેશની જનતા ઇમામ હુસૈનની યાદમાં યોજાતા વાર્ષિક શોકને સંપૂર્ણ શ્રદ્ધા અને પરંપરા સાથે મનાવી શકે.
મશહદમાં કરાશે સુપર્દ એ ખાક
શિયા મુસ્લિમ સમુદાય માટે ઇમામ હુસૈનનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ઈસવીસન 680માં કરબલાના યુદ્ધમાં તેમની શહાદતની યાદમાં દર વર્ષે મોહરર્મ દરમિયાન મોટા પાયે ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. આ જ કારણોસર, અલી ખામેનેઈની અંતિમયાત્રા અને તેને સંલગ્ન કાર્યક્રમો 4 જુલાઈથી શરૂ થશે અને 9 જુલાઈના રોજ મશહદમાં તેમને સુપર્દ-એ-ખાક કરવામાં આવશે. આ અંતિમવિધિમાં કરોડોની મેદની ઉમટવાની સંભાવના છે.
2 કરોડ લોકો સામેલ થવાનો અંદાજ: કડક સુરક્ષા વ્યવસ્થા
એક અનુમાન મુજબ, દિવંગત સુપ્રીમ લીડરની અંતિમવિધિના વિવિધ કાર્યક્રમોમાં વિશ્વભરમાંથી અંદાજે બે કરોડ જેટલા લોકો ભાગ લઈ શકે છે. આટલી વિશાળ જનમેદનીને ધ્યાનમાં રાખીને સુરક્ષા, વાહનવ્યવહાર અને જાહેર વ્યવસ્થાઓને સુદ્રઢ કરવા માટે અત્યારથી જ મોટા પાયે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અલી ખામેનેઈએ આશરે 37 વર્ષ સુધી ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનનું સર્વોચ્ચ નેતૃત્વ સંભાળ્યું હતું.
અગાઉ યુદ્ધના કારણે મોકૂફ રખાઈ હતી અંતિમવિધિ
અહેવાલો અનુસાર, આ વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલે સેન્ટ્રલ તેહરાન સ્થિત અલી ખામેનેઈના નિવાસસ્થાન પર સંયુક્ત હુમલો કર્યો હતો, જેમાં તેમનું અવસાન થયું હતું. આ ઘટના બાદ મધ્ય પૂર્વમાં (Middle East) મોટા પાયે સંઘર્ષ શરૂ થયો હતો. શરૂઆતમાં 4 માર્ચના રોજ તેમની સત્તાવાર અંતિમવિધિ યોજવાનું આયોજન હતું, પરંતુ યુદ્ધની પરિસ્થિતિને કારણે તેને સ્થગિત કરવી પડી હતી.
ઈરાન સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા નવી તારીખોની જાહેરાત બાદ હવે દેશભરમાં વહીવટી હલચલ તેજ થઈ ગઈ છે. તેહરાનથી લઈને મશહદ સુધી યોજાનારા આ કાર્યક્રમો પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે, કારણ કે આ આયોજન ઈરાનના ઈતિહાસની સૌથી મોટી જાહેર શ્રદ્ધાંજલિ સભાઓમાંની એક સાબિત થવા જઈ રહ્યું છે.










