• નવાઝે ભારત સાથે ફરી સારા સંબંધો સ્થાપિત કરવાની પ્રતિજ્ઞા લીધી
  • નવાઝ 2019માં લંડન ગયા હતા અને ચાર વર્ષ બાદ પોતાના દેશ પરત ફર્યા
  • જો પાકિસ્તાન પૂર્વ પાકિસ્તાનથી અલગ ન થયું હોત, તો ભારતમાંથી પસાર થતો આર્થિક કોરિડોર હોત

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે દેશ પરત ફર્યા બાદ ફરી એ જ જુનો રાગ આલાપ્યો છે. 73 વર્ષીય નવાઝે ભારત સાથે ફરી સારા સંબંધો સ્થાપિત કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને ખૂબ જ શાલીનતાથી ઉકેલીને ભારત સાથે સારા સંબંધો ફરી શરૂ કરવા માંગે છે. પાકિસ્તાન પરત ફર્યા બાદ તેમણે મિનાર-એ-પાકિસ્તાન લાહોરમાં તેમની પ્રથમ જાહેર રેલીને સંબોધિત કરી હતી. આ રેલીમાં તેમણે સારા સંબંધોની હિમાયત કરી છે. નવાઝ 2019માં લંડન ગયા હતા અને ચાર વર્ષ બાદ પોતાના દેશ પરત ફર્યા હતા.

વ્યાપક વિદેશ નીતિની ઈચ્છા

રેલીમાં નવાઝે કહ્યું હતું કે, 'અમે સ્વતંત્ર અને વ્યાપક વિદેશ નીતિ ઈચ્છીએ છીએ. અમે પાડોશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપિત કરીને પાકિસ્તાનને આર્થિક શક્તિ બનાવવા માંગીએ છીએ. અન્યો સાથે લડાઈ કે સંઘર્ષ કરીને પાકિસ્તાનનો વિકાસ થઈ શકતો નથી. હું બદલામાં નહીં વિકાસમાં માનું છું. આ રેલીમાં નવાઝે ભારત, બાંગ્લાદેશ તેમજ સેનાનો ઉલ્લેખ કર્યો હતો. નવાઝના શબ્દો હતા કે, 'જો પાકિસ્તાન પૂર્વ પાકિસ્તાન (બાંગ્લાદેશ)થી અલગ ન થયું હોત, તો ભારતમાંથી પસાર થતો આર્થિક કોરિડોર હોત. અમે પાકિસ્તાનના વિકાસ માટે પડોશીઓ અને વિશ્વ સાથે સારા સંબંધો સ્થાપિત કરવા માંગીએ છીએ.

બંધારણનું પાલન કરવું પડશે

નવાઝે સેના પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, 'પાકિસ્તાનના ખાતર તમામ રાજકીય સંગઠનો અને સંસ્થાઓએ બંધારણનું સાચી ભાવનાથી પાલન કરવું પડશે.' શરીફ રેલી દરમિયાન ભાવુક દેખાતા હતા અને જણાવ્યું હતું કે કેવી રીતે તેમને જેલવાસ દરમિયાન તેમની માતા અને પત્નીના મૃત્યુના સમાચારનો સામનો કરવો પડ્યો હતો. નવાઝે ભાવુક થતાં કહ્યું હતું કે તેણે 'રાજનીતિના કારણે' તેમની માતા અને પત્નીને ગુમાવ્યા છે. તેમને કહ્યું હતું કે આજ સુધી તેમને તે દિવસ યાદ છે જ્યારે તે તેમની માતા, પિતા કે પત્નીને અંતિમ શ્રદ્ધાંજલિ આપી શક્યો ન હતા.

ભારતને આપેલો સૌથી મોટો વિશ્વાસઘાત

નવાઝ જે સારા સંબંધોની વાત કરી રહ્યા છે તેમના કાર્યકાળ દરમિયાન ભારતને સૌથી મોટા વિશ્વાસઘાતનો સામનો કરવો પડ્યો હતો. 1999માં કારગિલ યુદ્ધ થયું હતું જ્યારે તે જ વર્ષે ભારતથી લાહોર સુધી બસ દોડાવવામાં આવી હતી. નવાઝની પત્નીનું 2018માં લંડનમાં 70 વર્ષની વયે અવસાન થયું હતું. તે સમયે શરીફ અને પુત્રી મરિયમ બંને ભ્રષ્ટાચારના કેસમાં પાકિસ્તાનમાં જેલમાં સજા કાપી રહ્યા હતા. નવાઝ ચાર વર્ષ લંડનમાં વિતાવ્યા બાદ શનિવારે દુબઈથી ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. તેમના જામીન અંગેની કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ તેઓ પંજાબ પ્રાંતમાં PML-N ગઢ ગણાતા લાહોર જવા રવાના થયા હતા.

  • Follow us on: