- પાકિસ્તાને અફઘાનિસ્તાન પાસે આતંકવાદીઓની માંગ કરી
- પાકિસ્તાને ફરી એકવાર ભારત સામે નિશાન સાધ્યું
- હાફિઝ સઈદ જેવા વૈશ્વિક આંતકવાદીને પાકિસ્તાન પાળી પોસીને બેઠું છે
પાકિસ્તાનમાં થયેલી બે હત્યામાં ભારતીય એજન્ટનો હાથ હોવાનો પાકિસ્તાને ભારત સામે આરોપ મુક્યા છે. આને લઈ પાકિસ્તાનમાં વિદેશ વિભાગના પ્રવક્તાએ ભારતને ટાર્ગેટ કર્યું છે. પ્રવક્તાએ કહ્યું કે ભારતે હજી આ આરોપોને ફગાવ્યા નથી. આ સિવાય પાકિસ્તાને અફઘાનિસ્તાન પાસે આતંકીઓની માંગ કરી છે.
પાકિસ્તાને અફઘાનિસ્તાનમાંથી આતંકવાદીઓ મંગાવ્યા છે
ભારતમાં આતંકવાદ ફેલાવનારાઓને આશ્રય આપનાર પાકિસ્તાન આજે ખુદ આતંકવાદથી પરેશાન છે. હાફિઝ સઈદને ભારતને સોંપવાનો ઈન્કાર કરનાર પાકિસ્તાન આજે અફઘાનિસ્તાનમાંથી આતંકવાદીઓ મંગાવી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ પાકિસ્તાનમાં આતંકી હુમલામાં વધારો થયો છે. દરમિયાન ગુરુવારે પાકિસ્તાનના વિદેશ વિભાગે મોટી માંગ કરી છે. વિદેશ વિભાગે અફઘાનિસ્તાનને આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા અને તેમના નેતાઓને પાકિસ્તાનને સોંપવા કહ્યું છે.
આ પહેલા ગુરૂવારે બલૂચિસ્તાનની રાજધાની ક્વેટાના અલગ-અલગ ભાગોમાં અનેક વિસ્ફોટના અહેવાલ છે. હુમલામાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ચાર ઘાયલ થયા હતા. પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા આ પ્રકારની હિંસા જોવા મળી રહી છે. ઇસ્લામાબાદમાં, વિદેશ વિભાગના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું, 'પાકિસ્તાન અફઘાનિસ્તાનમાંથી ઉદ્ભવતા આતંકવાદી ખતરા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યું છે.' બ્રીફિંગમાં તેણે ભારત પર પણ નિશાન સાધ્યું હતું.
ભારત વિરુદ્ધ શું કહ્યું?
હકીકતમાં, થોડા દિવસો પહેલા પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે બે પાકિસ્તાનીઓના મોતમાં ભારતીય એજન્ટોનો હાથ છે. આ અંગેના પ્રશ્નો અંગે બલોચે કહ્યું, 'ભારતીય વિદેશ મંત્રાલયે આ હત્યાઓમાં ભારતની સંડોવણી સાથે સંબંધિત અમારા પુરાવાઓની સચ્ચાઈને નકારી નથી.' ભારત વિરુદ્ધ ઝેર થૂંકતા તેમણે કહ્યું, 'ભારત પાકિસ્તાનની અંદર 'આતંકવાદી' ઘટનાઓમાં સામેલ છે.' તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાને આતંકવાદી કૃત્યોમાં ભારતની સંડોવણી સંબંધિત પુરાવા મિત્ર દેશો અને અન્ય સંબંધિત દેશો સાથે શેર કર્યા છે.
ભારતીય એજન્ટો પર હત્યાનો આરોપ
તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભારત વિશ્વભરના દેશોમાં ન્યાયેત્તર હત્યાઓમાં સામેલ છે. પાકિસ્તાને થોડા દિવસો પહેલા કહ્યું હતું કે તેની પાસે પુરાવા છે કે પાકિસ્તાની ધરતી પર બે પાકિસ્તાની નાગરિકોની હત્યા સાથે ભારતીય એજન્ટો જોડાયેલા છે. પાકિસ્તાનના વિદેશ સચિવે 25 જાન્યુઆરીએ આરોપોમાં કહ્યું હતું કે ગયા વર્ષે શાહિદ લતીફ અને મોહમ્મદ રિયાઝ નામના બે લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જોકે, તેણે હત્યા પાછળનું કારણ જણાવ્યું નથી.