પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ભારત આવવાનું ઔપચારિક આમંત્રણ આપ્યું છે. . ક્રેમલિનના અધિકારી યુરી ઉશાકોવે એક બ્રીફિંગ દરમિયાન જણાવ્યું કે પુતિનની મુલાકાતની તારીખો 2025ની શરૂઆતમાં નક્કી કરવામાં આવશે. આ આમંત્રણ પાછળનો ઈરાદો ભારત અને રશિયા વચ્ચે વધી રહેલા સંબંધોને વધુ મજબૂત કરવાનો હોવાનું જણાય છે.
પુતિન આવશે ભારત !
રશિયા અને ભારત વચ્ચે વેપાર, સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્રે લાંબા સમયથી સહયોગ રહ્યો છે. આ મુલાકાત બંને દેશોના નેતાઓને વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગે ચર્ચા કરવાની તક પૂરી પાડશે. પુતિન અને પીએમ મોદી વચ્ચે પહેલાથી જ એક કરાર છે કે તેઓ નિયમિત અંતરાલ પર મળશે. આ મુલાકાત એ કરારનો એક ભાગ છે જે ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવામાં મદદરૂપ થઈ શકે છે.
વૈશ્વિક પડકારો અંગે પણ ચર્ચા કરાશે
મહત્વનું છે કે ભારત અને રશિયા બંનેએ વૈશ્વિક સ્તરે ઘણા મુદ્દાઓ પર સમાન વલણ અપનાવ્યું છે. મળતી માહિતી મુજબ, આ સંભવિત મુલાકાત દરમિયાન યુક્રેન સંઘર્ષ, ઉર્જા સંકટ અને એશિયા-પેસિફિક ક્ષેત્રમાં વધતા તણાવ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે. આવી સ્થિતિમાં માનવામાં આવે છે કે ભારત અને રશિયા વચ્ચેની આ વાતચીત આંતરરાષ્ટ્રીય સ્તરે બંને દેશોની સ્થિતિને મજબૂત બનાવી શકે છે.
મજબૂત ભાગીદારીનું પ્રતીક
પુતિનની ભારત મુલાકાત બંને દેશો માટે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. આ મુલાકાત બતાવશે કે ભારત અને રશિયા માત્ર પરંપરાગત સહયોગ જાળવવા માટે જ નહીં પરંતુ તેને નવા ક્ષેત્રોમાં વિસ્તરણ કરવા માટે પણ પ્રતિબદ્ધ છે અને હવે ભારતીય વિદેશ નીતિના આ પગલાને બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યા છે










