• એસ.જયશંકરના આ વિચાર પર અમેરિકા ફિદા થઈ ગયું છે

  • તેમના પ્રયાસોથી બન્ને દેશ વચ્ચેના સંબંધો વધારે મજબૂત થયા હોવાનો સ્પષ્ટ મત
  • બાઇડેન પ્રસાશને જયશંકરને બન્ને દેશના આધુનિક સંબંધોના શિલ્પી ગણાવ્યા

અમેરિકાના પ્રવાસ દરમિયાન ભારતના વિદેશપ્રધાન એસ.જયશંકરે મોદી સરકારમાં ભારત અને અમેરિકાના સંબંધોને એક અલગ સ્તર પર લઈ જવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બન્ને દેશના સંબંધો ચંદ્રયાનની માફક ચંદ્ર પર અથવા તેનાથી પણ ઉપર પહોંચશે. એસ.જયશંકરના આ વિચાર પર અમેરિકા ફીદા થઈ ગયું છે અને બાઇડેન પ્રસાશને એસ. જયશંકરની ભરપૂર પ્રશંસા કરી છે. અમેરિકા અને ભારતના સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવા બદલ તેમણે જયશંકરને બન્ને દેશના આધુનિક સંબંધોના શિલ્પી ગણાવ્યા છે. ભારતના વિદેશપ્રધાન માટે પ્રશંસાભર્યા આ શબ્દો તેમના સમ્માનમાં અમેરિકામાં ભારતના રાજદૂત તરણજિતસિંહ સંધુ દ્વારા આયોજિત કરવામાં આવેલા એક ખાસ સ્વાગત સમારોહ દરમિયાન કહેવાયા હતાં. ભારતીય દૂતાવાસમાં આયોજિત થયેલાં આ કાર્યક્રમમાં એસ.જયશંકરે ભારતીય અમેરિકન સમુદાયને સંબોધિત કર્યો હતો.

મહત્ત્વનો હોદ્દો ધરાવતાં અમેરિકન ભારતીયો સામેલ

અમેરિકામાં વસતા ભારતીય સમુદાયના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં તેમાં અમેરિકન સર્જન જનરલ વિવેક મૂર્તિ રાજ્યના ઉપસચિવ રિચાર્ડ વર્મા, પ્રેસિડેન્ટ જો બાઇડેનના ઘરેલું નીતિ સલાહકાર નીરા ટંડન, વ્હાઇટ હાઉસ ઓફિસના રાષ્ટ્રીય ઔષધિ નિયંત્રણ નીતિના ડિરેક્ટર ડૉ. રાહુલ ગુપ્તા અને નેશનલ સાયન્સ ફેડરેશનના નિર્દેશક ડૉ. સેથુરમન પંચનાથન સામેલ થયાં હતાં. આ કાર્યક્રમમાં બાઇડેન તંત્ર દ્વારા એસ.જયશંકરને ભારત અને અમેરિકા વચ્ચેના આધુનિક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જનારા શિલ્પી ગણાવ્યા હતા.


  • Follow us on: