- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો હતો અફસોસ
- દુશ્મનો કિંમત ચૂકવવા માટે તૈયાર રહે: ઇઝરાયેલના PM
- ઇઝરાયેલી મહિલાઓ સહિત અત્યારસુધીમાં 22 લોકો મોત
ઇઝરાયલ પર થયેલ આતંકી હુમલાની ખબરોથી આખી દુનિયામાં હાહાકાર મચી ગયો છે. યુરોપિયન યુનિયનના દેશો તરફથી હુમલાની નિંદા કરવામાં આવી રહી છે તો ભારતે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર ઇઝરાયલના નામે એક ટ્વિટ કરતાં લખ્યું છેઃ કે મુશ્કેલીના આ સમયમાં ભારત ઇઝરાયલની સાથે છે. પીએમ મોદીના આ ટ્વિટ પર ઇઝરાયલે જવાબ આપ્યો છે.
ઇઝરાયલના રાજદ્વારીએ ભારતનો આભાર માન્યો છે. હમાસ તરફથી થયેલ હુમલા બાદ ઇઝરાયલી પીએમ બેંજામિન નેતન્યાહૂએ યુદ્ધની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું છે કે હમાસની સામે ઇઝરાયલ કોઈપણ ભોગે જીત મેળવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો હતો અફસોસ
પીએમ મોદીના ટ્વિટ બાદ ભારતમાં ઇઝરાયલના રાજદ્વારી કોબ્બી શોશાનીએ ટ્વિટનો જવાબ આપ્યો છે. તેમણે લખ્યું છે કે ધન્યવાદ પીએમ મોદી, અમે તમામ ભારતીયોના સ્પષ્ટ અવાજ અને સવારથી મને મળી રહેલા હજારો સંદેશાઓ માટે ખૂબ ખૂબ આભાર.’ આ પહેલા, ઇઝરાયલ પર થયેલ આતંકી હુમલા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું હતું કે ઇઝરાયલમાં આતંકવાદી હુમલાઓના સમાચારથી અત્યંત આઘાતમાં છું. અમારી સંવેદનાઓ અને પ્રાર્થનો નિર્દોષ પીડિતો અને તેમના પરિવારની સાથે છે. અમે આ મુશ્કેલીના સમયમાં ઇઝરાયલની સાથે ઊભા છીએ.
પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે શનિવારે ઇઝરાયલ વિરુદ્ધ નવા સૈન્ય અભિયાનની જાહેરાત કરી હતી અને ગયા વર્ષે મે પછી પહેલીવાર ગાઝા પટ્ટીમાંથી યહૂદી રાજ્યમાં મિસાઇલોનો બેરેજ છોડ્યા હતા. જેમાં અનેક ઇઝરાયેલી મહિલાઓ સહિત અત્યાર સુધીમાં 22 લોકો મૃત્યુ પામ્યા છે અને અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
દુશ્મનો કિંમત ચૂકવવા માટે તૈયાર રહે: ઇઝરાયેલના PM
ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે ગાઝા પટ્ટી પર શાસન કરનારા હમાસ આતંકવાદીઓ સાથે ઇઝરાયેલ યુદ્ધ માટે તૈયાર છે. ગાઝાના હમાસ શાસકોએ શનિવારની શરૂઆતમાં ઇઝરાયેલ પર મિસાઇલ હુમલો કર્યો છે. મિસાઇલ હુમલો થતા અનેક લોકોના મોત થયા છે તો અનેક ઇજાગ્રસ્ત તેવામાં હવે ઇઝરાયેલના PM હુક્કાર કરીને કહ્યુ હતું કે આ મિસાઇલ હુમલાનો જવાબ મળશે. તેની ભારે કિમત ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. આ ઓપરેશન નથી પરંતુ એક યુદ્ધ છે. આ સાથે PMએ સૈન્યને હમાસ આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરી કરાયેલા શહેરોમાંથી કાર્યવાહી તેજ કરી છે.
ઇઝરાયેલમાં હજારો રોકેટ છોડ્યા
હમાસે શનિવારે ઇઝરાયેલમાં હજારો રોકેટ છોડ્યા અને દેશની સરહદ પર સૈનિકો તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ હુમલાના કારણે સમગ્ર દેશમાં ભયનો માહોલ છે. હમાસના નેતા મોહમ્મદ અલ-દીફે ઇઝરાયેલ સામે નવા "અલ-અક્સા પૂર" લશ્કરી અભિયાનની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી તેવામાં ઇઝરાયેલની આયર્ન ડોમ સિસ્ટમ ઇનકમિંગ રોકેટને અટકાવવાનો પ્રયાસ કરતી વખતે આઇસોલેશન વાડની નજીક ઘાતક વિસ્ફોટ થયો હતો. મિસાઇલ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ગાઝાના અલગ-અલગ વિસ્તારોમાંથી કેટલાક રોકેટ છોડવામાં આવતા જોવા મળી રહ્યા છે.
હુમલાને લઇ ઇઝરાયેલી આર્મી હેડનું નિવેદન
ઇઝરાયેલી આર્મીએ સમગ્ર ઘટનાને લઇ નિવેદન આપતા જણાવ્યું હતું કે, છેલ્લા અડધા કલાકમાં ગાઝા પટ્ટીમાંથી રોકેટ છોડવામાં આવ્યા હતા, જેણે દેશના દક્ષિણ અને મધ્યમાં ઇઝરાયેલી જનતાને સંરક્ષિત વિસ્તારોની નજીક રહેવા અને હોમ ફ્રન્ટ કમાન્ડના આદેશોનું પાલન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ સાથે ઇઝરાયેલના રક્ષા મંત્રીયોવ ગેલન્ટે કહ્યું કે હમાસને મદદ કરવી એ "ગંભીર ભૂલ કરી અને તેમના દેશ સામે યુદ્ધ શરૂ કર્યું છે.