• ખૈબર પખ્તૂન્વા પ્રાંતમાં પૂરની સ્થિતિના કારણે મૃત્યુઆંકમાં વધારો થયો છે
  • પાકિસ્તાનમાં પૂરના કારણે 1634 લોકો ઈજાગ્રસ્ત થયા છે
  • વડાપ્રધાન શાહબાઝ શરીફે નૌશેરામાં પૂરગ્રસ્ત પરિવાર દીઠ 25 હજાર સહાયની જાહેરાત કરી

પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે સોમવાર સુધીમાં કુલ 1136 લોકોના મોત નીપજ્યાં છે. ખૈબર પખ્તૂન્વા પ્રાંતમાં પૂરની સ્થિતિના કારણે મૃત્યુઆંકમાં વધારો થયો છે. પાકિસ્તાન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જારી કરવામાં આવેલી વિગતો પ્રમાણે – વરસાદ અને પૂરને સંબંધિત ઘટનાઓમાં 1634 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે 7.35 લાખ પશુ-પ્રાણીઓ ગુમ થઈ ગયા છે.

પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે – 3451 કિમી રોડ, 149 બ્રિજ, 170 દુકાનો અને 9.49 લાખ ઘરોને નુકસાન થયું છે. જોકે રાહતની વાત એ છે કે નૌશેરા વિસ્તારમાં કાબુલ નદીના જળસ્તરમાં ઘટાડો થયો છે. કુમરતમાંથી 35 પર્યટકોને બચાવી લેવામાં આવ્યા છે.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સોમવારે નૌશેરા અને ચારસાદા વિસ્તારની મૂલાકાત લીધી હતી. તેમણે આ પૂરગ્રસ્ત વિસ્તારમાં દરેક પરિવારજનો માટે 25 હજાર રૂપિયા આર્થિક સહાયની જાહેરાત કરી હતી. જોકે આ રકમ 3 ડિસેમ્બર સુધી મળી શકશે. બ્લૂચિસ્તાન પ્રાંતમાં પૂરના કારણે 244 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 110 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 61 હજાર મકાનોને નુકસાન થયું છે અને 5 લાખ પશુપ્રાણીઓને નુકસાન થયું છે.


  • Follow us on: