- કેનેડામાં હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ છે
- સંબંધોમાં કડવાશ આવતાં કેનેડાના 41 રાજદ્વારીઓએ ભારત છોડી દીધું છે
- કેનેડાએ હવે ભારતમાં તેના નાગરિકોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે
સેફ્ટી એન્ડ સિક્યોરિટી સેક્શન હેઠળ જારી કરવામાં આવેલી આ ટ્રાવેલ એડવાઈઝરીમાં કેનેડાએ ભારત સાથેના તાજેતરના વિકાસનો ઉલ્લેખ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં મીડિયા અને સોશિયલ મીડિયામાં કેનેડા વિરુદ્ધ વાતાવરણ જોવા મળી રહ્યું છે. કેનેડા સામે નકારાત્મક લાગણીઓ ઘણી જગ્યાએ જોવા મળી છે.
કેનડાએ એડવાઈઝરી જાહેર કરી છે
કેનડાએ ભારત પ્રવાસ કરતા તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરીને અપડેટ કરી છે અને તેમાં કેટલાક ફેરફારો કર્યા છે. કેનેડાએ તેના નાગરિકોને ભારતમાં રહીને વિશેષ સાવચેતી રાખવા જણાવ્યું છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ તેમના લોકોને કહ્યું છે કે ભારતમાં કેનેડા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન અને ઉત્પીડનનો શિકાર બનવું પડી શકે છે. જાહેર સ્થળોએ તેમની સાથે ગેરવર્તણૂક પણ થઈ શકે છે. કેનેડાએ ભારતમાંથી તેના 41 રાજદ્વારીઓના પરત ફર્યા બાદ એડવાઈઝરીમાં આ અપડેટ કર્યું છે.
દિલ્હી અને એનસીપીમાં રહો સાવચેત
કેનેડાએ એડવાઈઝરીમાં કહ્યું છે કે ભારતમાં કેનેડિયન વિરોધી દેખાવો થવાની સંભાવના છે અને કેનેડિયનો ધમકી અને ઉત્પીડનનો શિકાર બની શકે છે. આવી સ્થિતિમાં રાજધાની દિલ્હી અને એનસીઆરમાં લૉ પ્રોફાઇલ જાળવો. તમારી અંગત માહિતી કોઈપણ અજાણી વ્યક્તિ સાથે શેર કરશો નહીં. પબ્લિક ટ્રાન્સપોર્ટ સહિત ગીચ વિસ્તારોને ટાળો. હંમેશા કોઈની સાથે મુસાફરી કરો અને મિત્ર અથવા કુટુંબના સભ્યને તમારી મુસાફરીની યોજનાઓ વિશે અગાઉથી જણાવો.
કેનેડા દ્વારા જારી કરાયેલ એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે બેંગલુરુ, ચંદીગઢ અને મુંબઈમાં કેનેડાના કોન્સ્યુલેટ જનરલ અસ્થાયી રૂપે વ્યક્તિગત કામગીરીને સ્થગિત કરી રહ્યા છે. નાગરિકો દિલ્હીમાં કેનેડાના હાઈ કમિશન પાસેથી કોન્સ્યુલર સહાય અને વધુ કોન્સ્યુલર માહિતી મેળવી શકે છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે રાજદ્વારીઓના પરત આવવાને કારણે કામકાજ પર પણ અસર પડશે. આવી સ્થિતિમાં કેનેડાના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ભારત અને કેનેડા વચ્ચે તણાવ કેમ વધ્યો?
ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની આ વર્ષે જૂનમાં કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું અને કહ્યું હતું કે નિજ્જરની હત્યાનો ભારત સાથે સંબંધ હોવાના પુરાવા છે. 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કરનાર ભારતે જસ્ટિન ટ્રુડોના આરોપોને વાહિયાત ગણાવ્યા હતા. આ પછી ભલે ટ્રુડોએ ભારત સાથે વિવાદ ન વધારવાની વાત કરી પરંતુ બંને દેશોના સંબંધોમાં તણાવ યથાવત છે. હવે 41 કેનેડિયન રાજદ્વારીઓને પરત ફરવું પડ્યું છે અને કેનેડાએ પણ ભારતમાં તેના નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે.