- સપ્ટેમ્બરમાં થનારું ખંડગ્રાસ ચંદ્રગ્રહણ પૂર્વ ભારતમાં છાયારૂપે દેખાશે
- નવા હિન્દુ વર્ષમાં ચાર ગ્રહણનો સંયોગ, પણ ત્રણ ભારતમાં દેખાશે નહીં
- છાયા ચંદ્રગ્રહણ, ખગ્રાસ સૂર્યગ્રહણ, કંકણાવૃતિ સૂર્યગ્રહણ નહીં દેખાય
નૂતન વર્ષ સાથે શરૂ થયેલા નવા હિન્દુ સંવત 2080માં ચાર ગ્રહણનો સંયોગ જોવા મળશે. જે પૈકી ત્રણ ભારતમાં દેખાશે નહીં. એકમાત્ર સપ્ટેમ્બરમાં થનારું ખંડગ્રાસ ચંદ્રગ્રહણ જ પૂર્વ ભારતમાં છાયારૂપે દેખાશે, પરંતુ તેનો પણ વેધ ન પાળવાનો મત જ્યોતિષી આપી રહ્યા છે. નવા સંવત વર્ષના આરંભ સાથે જ વર્ષ દરમિયાનના ગ્રહણ, નક્ષત્રો, મૂહર્તોની ચર્ચા શરૂ થઇ છે. હજુ દેવ દિવાળી સુધી પર્વનો જ માહોલ જોવા મળશે. મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોની વણઝાર સાથે જ સામાન્ય જનજીવન પણ હજુ પર્વની ઉજવણીમાં મશગૂલ છે. 2080ના સંવત વર્ષમાં ચાર ગ્રહણ થશે. ચાર પૈકી ત્રણ ગ્રહણ ભારતમાં દેખાવાના ન હોય વેધ પાળવાનો રહેશે નહીં.
માર્ચ માસમાં છાયા ચંદ્રગ્રહણ થશે. એપ્રિલ માસમાં ખગ્રાસ સૂર્યગ્રહણ થશે. આ બન્ને ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ત્યાર બાદ સપ્ટેમ્બર માસમાં ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થશે. તે પશ્ચિમ ભારતમાં દેખાશે નહીં. માત્ર પૂર્વ ભારતમાં છાયા જ દેખાશે. આ ગ્રહણનો ભારતમાં દોષ લાગતો ન હોય પાળવાનું નથી. ઓક્ટોબર માસમાં વર્ષનું છેલ્લુ કંકણાકૃતિ સૂર્યગ્રહણ થશે, પરંતુ તે પણ ભારતમાં દેખાવાનું નથી. આમ, ગ્રહણની દૃષ્ટિએ એકેય ગ્રહણની ઘટનાનો પૂર્ણ નજારો ભારતમાંથી જોવા મળશે નહીં.












