કેદારનાથ ધામ પછી, આજે બદ્રીનાથ ધામના કપાટ ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. રવિવારે સવારે 6 વાગ્યે આર્મી બેન્ડના સુમધુર સૂરો સાથે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન બધે જ જય બદ્રીનાથના નારા લગાવતા ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો. આ મંદિર હવે મેથી નવેમ્બર સુધી લોકો માટે ખુલ્લું રહેશે. શિયાળા દરમિયાન મંદિર બંધ રહે છે અને તે દરમિયાન, જોશીમઠના નરસિંહ મંદિરમાં ભગવાનની પૂજાનું આયોજન કરવામાં આવે છે. ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ 30 એપ્રિલના રોજ ખુલ્યા. કેદારનાથ ધામના કપાટ 2 મેના રોજ ખોલવામાં આવ્યા હતા. આ સાથે, હવે ચારેય ધામ ભક્તોના દર્શન માટે ખુલી ગયા છે.


મંદિરના કપાટ 6 વાગ્યે ખુલ્યા

મંદિરના કપાટ ખુલે તે પહેલાં જ ભક્તો ત્યાં પહોંચવાનું શરૂ કરી દીધું હતું. આ માટે મંદિર સમિતિના અધિકારીઓ અને કર્મચારીઓ સવારે 4 વાગ્યે મંદિર પરિક્રમામાં હાજર રહ્યા હતા. આ પછી, 04.30 વાગ્યે, શ્રી કુબેરજીનો દક્ષિણ દ્વારથી મંદિર પરિક્રમામાં પ્રવેશવાનો સમય થયો. ત્યાર બાદ સવારે 5 કલાકે વિશેષ મહેમાનો, રાવળ, ધર્માધિકારી, વેદપાઠી, અધિકાર ધારકો, ડીમરી પંચાયતના પ્રતિનિધિઓ મંદિરે પહોંચ્યા હતા. અડધા કલાક પછી દ્વાર પૂજા શરૂ કરવાનું નક્કી થયું. બધી વિધિઓ સાથે 6 વાગ્યે કપાટ ખોલવામાં આવ્યા. આ દરમિયાન મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.

પુષ્પવૃષ્ટી કરવામાં આવી

બદ્રીનાથ ધામના કપાટ ખોલ્યા બાદ, હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો. આ સાથે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ બદ્રીનાથ ધામ પહોંચ્યા છે. તેઓ બદ્રીનાથ ધામમાં પૂજા કરશે. આ પહેલા 2 મેના રોજ કેદારનાથ ધામના દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે સીએમ ધામી ત્યાં હાજર હતા. ભક્તોને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું હતું કે બદ્રીનાથ ધામના કપાટ 4 મેના રોજ ખોલવામાં આવશે.

  • Follow us on: