• ઉત્તરભારતમાં 10 જુલાઇના રોજ શ્રાવણનો પ્રથમ સોમવાર
  • ભગવાન શિવની પૂજા કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું
  • શિવ ઉપાસના દરમિયાન કેટલીક એવી વસ્તુઓ છે જે અશુભ માનવામાં આવે

મહાદેવને પ્રસન્ન કરવા માટે, શિવભક્તો અનેક રીતે પ્રાર્થના કરે છે, જેથી તેમના પર મહાદેવની કૃપા હંમેશા બની રહે. પરંતુ જાણતા-અજાણતા આપણે શિવલિંગ પર કેટલીક એવી વસ્તુઓ ચઢાવીએ છીએ, જેના કારણે મહાદેવ પણ ગુસ્સે થઈ શકે છે. શિવપુરાણમાં કેટલીક એવી વાતો કહેવામાં આવી છે, જેને શિવલિંગ પર ચઢાવવાથી બચવું જોઈએ.

ઉત્તરભારતમાં 10 જુલાઇના રોજ શ્રાવણનો પ્રથમ સોમવારે વ્રત રાખવામાં આવશે અને આ દિવસે શિવાલયોમાં પણ ભારે ભીડ જોવા મળે છે. દરેક ભક્ત પોતાની રીતે મહાદેવને પ્રસન્ન કરવા માટે પ્રાર્થના કરે છે. ભગવાન શિવને ભોલેનાથ પણ કહેવાય છે અને સંહારક પણ કહેવાય છે. નામ પ્રમાણે તે ભક્તો પર ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને ક્રોધનું ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કરી લે છે. શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવની પૂજા કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. શિવ ઉપાસના દરમિયાન કેટલીક એવી વસ્તુઓ છે જે અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી ભગવાન શિવ ક્રોધિત થાય છે અને પૂજાનું શુભ ફળ મળતું નથી. આવો જાણીએ આ વસ્તુઓ વિશે...

હળદર

આવા ઘણા ધાર્મિક કાર્યો છે, જે હળદર વગર પૂર્ણ થતા નથી, પરંતુ ભગવાન શિવની પૂજામાં હળદરનો ઉપયોગ કરવામાં આવતો નથી. હળદરનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે હળદર એ સ્ત્રીઓ સાથે સંબંધિત વસ્તુ છે અને શિવલિંગને પુરૂષ તત્વ માનવામાં આવે છે. આ કારણથી ભગવાન શિવની પૂજામાં હળદરનો ઉપયોગ ન કરવો જોઈએ.

તુલસી દલ

તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તુલસીનો ઉપયોગ તમામ દિવ્ય કાર્યોમાં પવિત્રતા માટે થાય છે પરંતુ ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ થતો નથી. વાસ્તવમાં તેની પાછળ એક પૌરાણિક કથા છે. દંતકથા અનુસાર, ભગવાન શિવે તુલસીના પતિ અસુર જલંધરને મારી નાખ્યા હતા, જેનાથી તુલસીએ પોતે ભગવાન શિવની પૂજા કરવાનો ઇનકાર કર્યો હતો.

શંખ

ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ કરવામાં આવતો નથી. આની પાછળ એક દંતકથા છે. દંતકથા અનુસાર શંખચુડ રાક્ષસ તમામ દેવી-દેવતાઓને પરેશાન કરતો હતો. ત્યારે ભગવાન શિવે ત્રિશુલ વડે તેનો વધ કર્યો જેના કારણે તેનું શરીર ભસ્મ થઈ ગયું અને તે ભસ્મમાંથી શંખનો જન્મ થયો. ભગવાન શિવે શંખચુડ રાક્ષસનો વધ કર્યો હોવાથી તેમની પૂજામાં શંખનો ઉપયોગ થતો નથી.

નાળિયેર

ભગવાન શિવની પૂજામાં શેરડીનો રસ, દૂધ, મધ, દહીં વગેરે ચઢાવવામાં આવે છે પરંતુ નાળિયેર કે નાળિયેરનું પાણી ચઢાવવામાં આવતું નથી. દેવી-દેવતાઓને ચડાવવામાં આવતી વસ્તુઓનો સ્વયં સ્વીકાર કરવો જરૂરી છે, પરંતુ શિવલિંગને અર્પણ કરવામાં આવતી વસ્તુઓ સ્વીકારવાની મનાઈ છે, તેથી શિવલિંગ પર નારિયેળ જળનો અભિષેક કરવામાં આવતો નથી.

  • Follow us on: