• અષાઢી બીજના દિવસે મંદિરના પ્રાંગણથી ગુંડીચા મંદિર સુધી રથયાત્રા કાઢવામાં આવશે
  • જગન્નાથ ધામને પૃથ્વીનું વૈકુંઠ કહેવામાં આવે છે
  • માન્યતા છે કે શ્રી વિષ્ણુ અહીં કૃષ્ણના રૂપમાં નિવાસ કરે છે

જગન્નાથ પુરીમાં રથયાત્રાની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અષાઢી બીજના દિવસે મંદિરના પ્રાંગણથી ગુંડીચા મંદિર સુધી રથયાત્રા કાઢવામાં આવશે. જગન્નાથ ધામને પૃથ્વીનું વૈકુંઠ કહેવામાં આવે છે અને એવી માન્યતા છે કે શ્રી વિષ્ણુ અહીં કૃષ્ણના રૂપમાં નિવાસ કરે છે.

દેવી વિમલા પહેલા પ્રસાદ ચાખે છે

જગન્નાથજીને 56 પ્રકારના નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. જેને છપ્પન ભોગ કહેવામાં આવે છે. આ પ્રસાદ મહાપ્રસાદ કહેવાય છે. પરંતુ એક રહસ્ય એ પણ છે કે ભગવાન જગન્નાથ પોતે પહેલા પોતાને સમર્પિત મહાભોગ નથી ખાઈ શકતા. વિમલા દેવી આ પ્રસાદ સ્વીકારે પછી જ જગન્નાથજીને પ્રસાદ અર્પણ કરાય છે.

માતા વિમલા દેવી પુરીના નગર દેવી છે

પૌરાણિક માન્યતાઓ અનુસાર, દેવી વિમલા જગન્નાથ પુરીના પ્રમુખ દેવતા છે. આ તેમનું તીર્થ ક્ષેત્ર છે. વિમલા દેવીને સતીનું આદિશક્તિ સ્વરૂપ માનવામાં આવે છે અને ભગવાન વિષ્ણુના તેઓ ખુબજ પ્રિય છે. ખૂબ જ પ્રાચીન વિમલા દેવી આદિ શક્તિપીઠ પુરીમાં જગન્નાથ મંદિરના પ્રાંગણમાં સ્થિત છે.

આ શક્તિપીઠમાં સતીની નાભિ પડી હતી

એવું માનવામાં આવે છે કે અહીં માતા સતીની નાભિ પડી હતી. આ શક્તિપીઠમાં માતા સતીને 'વિમલા' અને ભગવાન શિવને 'જગત' કહેવામાં આવે છે. દેવી સતી દેવી શક્તિ (સંવાદિતાની દેવી) નો અવતાર છે.

દેવી વિમલાને દેવી દુર્ગા (શક્તિની દેવી) તરીકે પણ ઓળખવામાં આવે છે અને દેવી સતીને કાલી (દુષ્ટતાના વિનાશની દેવી) તરીકે પણ પૂજવામાં આવે છે.

માતાનું મંદિર આવું છે

વિમલા મંદિર જગન્નાથ મંદિરની જમણી બાજુએ પવિત્ર તળાવ રોહિણીની બાજુમાં આવેલું છે. મંદિર પૂર્વ તરફ છે, વિમલા દેવીની મૂર્તિને ચાર હાથ છે. ઉપરના જમણા હાથમાં માળા પકડી રાખી છે. નીચેનો જમણો હાથ આશીર્વાદની મુદ્રામાં છે અને નીચેના ડાબા હાથમાં અમૃત ભરેલું વાસણ છે. વિમલા મંદિરમાં બ્રાહ્મી, મહેશ્વરી, ઈન્દ્રી, કુમારી, વૈષ્ણવી, વારાહી અને મા ચામુંડાની મૂર્તિઓ પણ છે.

મંદિર પાંચ ભાગમાં વહેંચાયેલું છે

મંદિરના શિખરને 'રેખા દેઉલા' કહેવામાં આવે છે, જેની ઊંચાઈ 60 ફૂટ છે. તેની બહારની દિવાલ પાંચ ભાગોમાં વિભાજિત છે, અને મંદિરના ચાર મુખ્ય ભાગો છે - મંદિરની ટોચ (વિમાનમ); કોન્ફરન્સ હોલ (જગમોહન); ઉત્સવ સભામંડપ (નાટમંડપ) અને ભોગ મંડપ (આહુતિ સભામંડપ). દેવી વિમલાને અર્પણ કર્યા પછી જ, પ્રસાદ મહાપ્રસાદ બની જાય છે અને ભગવાન જગન્નાથ સહિત તમામ ભક્તોને વહેંચવામાં આવે છે.

  • Follow us on: