વિશ્વભરમાં પ્રસિદ્ધ આ ધામમાં દર વર્ષે ભવ્ય રથયાત્રાનું આયોજન થાય છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લે છે. ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ત્રણ અલગ-અલગ ભવ્ય રથોમાં બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપે છે. માન્યતા છે કે રથયાત્રામાં ભાગ લેવાથી અને ભગવાનના રથની દોરી ખેંચવાથી વ્યક્તિને જન્મ-મરણના બંધનમાંથી મુક્તિ મળે છે.


જગન્નાથ રથયાત્રામાં ભગવાન શા માટે જાય છે ગુંડીચા મંદિરે?

વર્ષ 2026માં ભગવાન જગન્નાથની રથયાત્રા 16 જુલાઈએ શરૂ થશે અને 24 જુલાઈએ તેનો સમાપન થશે. આ દરમિયાન ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા પોતાના મુખ્ય મંદિરમાંથી નીકળી ગુંડીચા મંદિરે જાય છે. પરંતુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે આખરે આ ગુંડીચા કોણ હતાં અને ભગવાન તેમના મંદિરે શા માટે જાય છે?

રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ત્રણ ભવ્ય રથોમાં બિરાજમાન થઈને નગરભ્રમણ માટે નીકળે છે. આ વર્ષે પણ ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પુરીમાં વર્ષ 2026માં રથયાત્રા 16 જુલાઈના રોજ શરૂ થશે અને 24 જુલાઈએ તેનો સમાપન થશે.

આ દરમિયાન ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે ત્રણ ભવ્ય રથોમાં સવાર થઈને ગુંડીચા મંદિર તરફ પ્રસ્થાન કરે છે અને જ્યાં તેમના માટે વિશેષ ભોગ તથા પકવાનો અર્પણ કરવામાં આવે છે.

 જાણો દેવી ગુંડીચાનું રહસ્ય

પૌરાણિક માન્યતાઓ અનુસાર ગુંડીચા દેવી પુરીના રાજા ઇન્દ્રદ્યુમનના પત્ની હતાં. રાજા ઇન્દ્રદ્યુમને ભગવાન જગન્નાથના ભવ્ય મંદિરના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. એવું કહેવાય છે કે ગુંડીચા દેવી ભગવાન જગન્નાથના પરમ ભક્ત હતાં. તેમની ભક્તિ અને સમર્પણથી પ્રસન્ન થઈ ભગવાને તેમને વચન આપ્યું હતું કે દર વર્ષે એક વખત તેઓ તેમના નિવાસસ્થાને જરૂર આવશે.

સાત દિવસ સુધી નિવાસ કરે 

આ જ કારણ છે કે રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા ગુંડીચા મંદિરે પહોંચે છે અને ત્યાં સાત દિવસ સુધી નિવાસ કરે છે. આ સમય દરમિયાન વિશેષ ભોગ, પૂજા અને ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવે છે. ભક્તો માનતા હોય છે કે ભગવાન પોતાના ભક્તને આપેલું વચન નિભાવતા દર વર્ષે અહીં પધારે છે.

ગુંડીચા મંદિરને ભગવાનનું માસીનું ઘર પણ કહેવામાં આવે

ગુંડીચા મંદિરને ભગવાનનું માસીનું ઘર પણ કહેવામાં આવે છે. અહીં ભગવાનને વિવિધ પ્રકારના પકવાન અને ભોગ અર્પણ કરવામાં આવે છે. ભક્તો માટે આ સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે ભગવાન મંદિરની બહાર આવીને સામાન્ય જનતાને સરળતાથી દર્શન આપે છે.

જગન્નાથ રથયાત્રા માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ ભક્તિ, સમર્પણ અને ભગવાન તથા ભક્ત વચ્ચેના અતૂટ સંબંધનું પ્રતીક છે. ગુંડીચા દેવીની કથા આપણને શીખવે છે કે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા દ્વારા ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. તેથી જ દર વર્ષે લાખો ભક્તો આ મહાપર્વની આતુરતાથી રાહ જુએ છે અને ભગવાન જગન્નાથના દર્શનનો લાભ મેળવે છે.

આ પણ વાંચો: Pushya Yog 2026: ગુરુ બૃહસ્પતિનું પુષ્ય નક્ષત્રમાં ગોચર, આ રાશિના 61 દિવસ જોરદાર રહેશે!

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


  • Follow us on: