• ગાય માતૃત્વ અને પૃથ્વી સાથે સંબંધિત, કરાવો ભોજન
  • દેવતાનો આકાશ તત્વ સાથે સંબંધ તો કાગડો વાયુ તત્વનું પ્રતીક છે
  • શ્વાન જળ અને ધર્મરક્ષકનું પ્રતીક, કીડી અગ્નિતત્વ સાથે રાખે છે સંબંધ

પિતૃપક્ષ, હિંદુ ધર્મમાં પૂર્વજોની શ્રદ્ધા માટે ઉજવવામાં આવે છે અને આ ધાર્મિક સમય છે. આ સમયે વિશેષ રીતે પિતૃઓના પ્રતિ સમર્પણ અને તેમને સંતુષ્ટ કરવાનો શક્ય તમામ પ્રયાસ કરવામાં આવે છે. દર વર્ષે ભાદ્રપદની પૂર્ણિમાથી શરૂ થઈને 15 દિવસ સુધી શ્રાદ્ધ ચાલે છે. 2023માં ગઈકાલથી એટલે કે 29 સપ્ટેમ્બરથી તેની શરૂઆત થઈ છે. આ સમયે લોકો પિતૃઓની શાંતિની કામના કરે છે અને તેમને મોક્ષ પ્રાપ્ત કરાવવા માટે શ્રાદ્ધ કાર્યક્રમ આયોજિત કરાય છે. આ અવસરે જે ભોજન તૈયાર કરાય છે તેમાંથી 5 જીવ માટે ભોજન કાઢવામાં આવે છે. આ 5 જીવની સાથે હિંદુ ધર્મના પંચતત્વનો સંબંધ જોડવામાં આવ્યો છે.

ગાય

ગાયને હિંદુ ધર્મમાં માતૃત્વનું પ્રતીક માનવામાં આવે છે. તેને પંચતત્વમાં પૃથ્વી તત્વ સાથે મેળ હોવાનું માનવામાં આવે છે. આ માટે શ્રાદ્ધમાં ગાયને ભોજનનો અંશ અપાય છે. શાસ્ત્રોમાં માન્યતા છે કે ગાયને ખવડાવવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે.

કાગડો

કાગડાને વાયુ તત્વનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે જ્યારે કાગડો શ્રાદ્ધના ભોજનનો અંશ ખાય છે તો પિતૃઓની આત્મા સંતુષ્ટ થાય છે અને તેમના આર્શીવાદ મળે છે.

શ્વાન

તેને જળ તત્વ અને ધર્મરક્ષકનું પ્રતીક માનવામાં આવે છે. જળ, જીવનનો ખાસ ભાગ છે. આ માટે શ્વાનને ભોજનનો અંશ આપવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેનાથી પૂર્વજોની રક્ષાની ભાવના વ્યક્ત થાય છે.

દેવતા

દેવતાને આકાશ તત્વ સાથે જોડવામાં આવ્યા છે. તેમને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધમાં ભોજનનો પહેલો ભાગ સમર્પિત કરાય છે.

કીડી

આ નાનો જીવ અગ્નિતત્વ સાથે સંબંધિત માનવામાં આવે છે. તેને ભોજનનો અંશ આપવાથી પિતૃઓની આત્મા તૃપ્ત થાય છે. 

  • Follow us on: