ઐતિહાસિક અને પવિત્ર રથયાત્રા પૂર્વે અમદાવાદના જમાલપુર સ્થિત નીજ મંદિરમાં આજે ભક્તિ અને દિવ્યતાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે. અષાઢી બીજના પાવન પર્વે નગરચર્યાએ નીકળતા પહેલા આજે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી ભક્તોને પરંપરાગત ‘સોનાવેશ’ (સુવર્ણ પોશાક)માં દર્શન આપી રહ્યા છે. વર્ષમાં માત્ર એક જ વાર યોજાતા ભગવાનના આ અલૌકિક અને ભવ્ય સ્વરૂપને નિહાળવા માટે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.

વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજન વિધિ

ભગવાનના આ દિવ્ય શણગાર પૂર્વે મંદિરમાં ધાર્મિક વિધિઓ વિધાનપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી. કડક સુરક્ષા વચ્ચે પ્રભુના કરોડો રૂપિયાના સુવર્ણ આભૂષણોને નીજ મંદિરમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મંદિરના મહારાજ અને ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત અને વૈદિક મંત્રોચ્ચાર સાથે તમામ આભૂષણોની વિશેષ પૂજનવિધિ કરવામાં આવી હતી. આ શુદ્ધિકરણ પૂજા બાદ ભગવાન માટે ખાસ તૈયાર કરવામાં આવેલા રેશમી પીળા વાઘા પણ ગર્ભગૃહમાં લવાયા હતા અને ભગવાનને ધારણ કરાવાયા હતા. 

https://www.instagram.com/reel/DazII8kkWAv/?utm_source=ig_web_button_share_sheet  


વર્ષમાં એક જ વાર સુવર્ણ દર્શનનો લ્હાવો

ભગવાન જગન્નાથજીનો સોનાવેશ તેમના અખૂટ દિવ્ય વૈભવ અને ઐશ્વર્યનું પ્રતીક માનવામાં આવે છે. સોનાના મુગટ, હાર, બાજુબંધ અને કુંડળ સહિતના ભારેખમ ઘરેણાંથી સજ્જ નાથનું આ સ્વરૂપ અત્યંત દેદીપ્યમાન અને આકર્ષક લાગી રહ્યું છે. ભક્તો આ આખા વર્ષમાં માત્ર એક જ વાર થતા દુર્લભ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી રહ્યા છે. ભક્તોના જય જગન્નાથના નારાઓથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને દર્શનની વિશેષ અને સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે..


આ પણ વાંચો  :  Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!