- પેન્શનધારકોના પેન્શનમાં થઈ શકે છે વધારો
- 5 થી 20 ટકા સુધી પેન્શન વધારવાની કરી માંગ
- RSCWSએ નાણામંત્રીને કરી ભલામણ
રેલવે સિનિયર સિટિઝન્સ વેલ્ફેર સોસાયટી (RSCWS)એ તાજેતરમાં સરકારને પેન્શનરોની ફરિયાદો પર સંસદીય સમિતિની ભલામણને લાગુ કરવા વિનંતી કરી છે. 5 સપ્ટેમ્બરના રોજ, RSCWSએ નાણામંત્રીને લખેલા પત્રમાં કહ્યું હતું કે, સંસદીય સ્થાયી સમિતિની ભલામણને લાગુ કરવી જોઈએ. સંસદીય સ્થાયી સમિતિએ પેન્શનરોની ફરિયાદો અંગેના તેના 110મા અહેવાલમાં ભલામણ નંબર 3.28 હેઠળ ભલામણ કરી હતી કે સરકારે પેન્શનરોના સંગઠનોની માંગ પર વિચાર કરવો જોઈએ. પેન્શનરોની માંગ છે કે 65 વર્ષથી વધુ વયના પેન્શનધારકોને 5 ટકા , 70 વર્ષની વયના પેન્શનરોને 10 ટકા, 75 વર્ષની વયના પેન્શનરોને 15 ટકા અને 80 વર્ષની વયના પેન્શનરોને 20 ટકા વધારાની પેન્શનની રકમ આપવામાં આવે.
5 થી 20 ટકા વધારાના પેન્શનની ભલામણ કરવામાં આવી છે
વધુમાં, DoP&PW મંત્રાલયે, 4 એપ્રિલ 2022ના પત્ર દ્વારા, સંસદીય સમિતિની ઉપરોક્ત ભલામણોના વહેલા અમલીકરણ પર ભાર મૂક્યો હતો. RSCWSએ કહ્યું કે, સરકાર 65, 70 અને 75 વર્ષની વયના પેન્શનરો માટે વધારાના પેન્શનની ભલામણ માટે સંમત થઈ શકે છે. તેણે વધારાનું પેન્શન 5 થી 20 ટકા લાગુ કરવાની પણ વિનંતી કરી હતી.
વૃદ્ધાવસ્થામાં જાળવણી માટે જરૂરી રકમ
મંત્રાલયને સંબોધવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે પેન્શનરો અન્ય સામાજિક અને પારિવારિક જવાબદારીઓ સિવાય ખરાબ સ્વાસ્થ્ય, વૃદ્ધાવસ્થામાં જાળવણીના વધતા ખર્ચ અને દવાઓના સતત વધતા ખર્ચને કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, ભારત સરકાર જરૂરી ભંડોળ પૂરું પાડી શકે છે અને તેનો અમલ કરી શકે છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓનો પગાર અને પેન્શન 7મા પગાર પંચની ભલામણો પર આધારિત છે. નોંધનીય છે કે સરકાર કોઈપણ સમયે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત પણ કરી શકે છે. જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ્સ કહે છે કે ઓક્ટોબરમાં ડીએમાં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે.