કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની બેઠક આવતીકાલે એટલે કે 28 ફેબ્રુઆરીએ શુક્રવારે યોજાવા જઈ રહી છે, જેમાં ભવિષ્ય નિધિ (PF)ના વ્યાજ દર અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જો બોર્ડ શુક્રવારે વ્યાજ અંગે નિર્ણય લે છે તો કરોડો EPFO સભ્યોને મોટો ઝટકો લાગી શકે છે.
8.25% વ્યાજ દર કરતા ઓછું કરવાની શક્યતા
EPFOનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ PFમાં જમા કરાયેલા પૈસા પર મળતું વાર્ષિક વ્યાજદર ઘટાડી પણ શકે છે. પ્રોવિડન્ટ ફંડ (PF) પરનું વળતર ગયા નાણાકીય વર્ષ માટે જાહેર કરાયેલા 8.25% વ્યાજ દર કરતા ઓછું કરવાની શક્યતા છે. નોંધનીય છે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક 28 ફેબ્રુઆરીએ યોજાવાની છે, જેમાં 2024-25 માટે PF યોગદાન પર વ્યાજ દર અંગે ચર્ચા થશે.
PFનું વ્યાજ કેટલું ઘટાડી શકાય?
રિપોર્ટ મુજબ વ્યાજ દર વર્તમાન દરની નજીક રહી શકે છે, જેમાં થોડો ઘટાડો થવાની શક્યતા છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે EPFOના વર્તમાન ભંડોળ અને રોકાણોને ધ્યાનમાં લેતા થોડો ઘટાડો થઈ શકે છે અને વ્યાજ દર 8.2-8.25%ની આસપાસ હોઈ શકે છે. તેમણે કહ્યું કે છેલ્લા એક વર્ષમાં બોન્ડ યીલ્ડમાં ઘટાડો થયો છે અને ભવિષ્યમાં પણ તેમાં ઘટાડો ચાલુ રહેવાની શક્યતા છે.
હાલમાં કેટલું વ્યાજ મળે છે?
EPFOના 2023-24ના વાર્ષિક અહેવાલ મુજબ 2.26 લાખ કરોડ રૂપિયાનું યોગદાન મળ્યું છે, જે વાર્ષિક ધોરણે 6.54% નો વધારો બતાવે છે. 31 માર્ચ, 2024 સુધીમાં તેનું કુલ રોકાણ 15.29 લાખ કરોડ રૂપિયા હતું. વર્ષ 2023-24 માટે EPFOએ 8.25% વ્યાજ દર જાહેર કર્યો છે, જે વર્ષ 2022-23માં જાહેર કરાયેલા 8.15% વ્યાજ દર કરતા થોડો વધારે છે.
PFનું વ્યાજ કેમ ઘટી શકે?
એક અહેવાલ મુજબ બોર્ડની રોકાણ સમિતિએ ગયા અઠવાડિયે EPFOની આવક અને ખર્ચ પ્રોફાઈલ પર ચર્ચા કરવા માટે EPF દરની ભલામણ કરી હતી. આવી સ્થિતિમાં આ બેઠકમાં વ્યાજ ઘટાડવા અંગે ચર્ચા થઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આનું કારણ એ છે કે તાજેતરના મહિનાઓમાં બોન્ડ યીલ્ડમાં ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે CBTએ EPFO સંબંધિત નિર્ણયો લેતી સંસ્થા છે અને તેના અધ્યક્ષ કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયા છે. EPFO રોકાણ સમિતિની બેઠક ગયા અઠવાડિયે યોજાઈ હતી, જ્યારે EPFO એક્ઝિક્યુટિવ સમિતિની બેઠક 26 ફેબ્રુઆરીએ યોજાઈ હતી. હવે, આવતીકાલની બેઠકમાં વ્યાજ દર ઉપરાંત પેન્શન પર પણ ચર્ચા થઈ શકે છે.













