- ડુંગળીના વધતા ભાવ સામાન્ય લોકોની કમર કસવા મજબૂર કર્યા
- હાલમાં દેશમાં મોંઘવારી દરને 6 ટકાના સ્તરે
- રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રેપો રેટમાં પણ કરી શકે છે ફેરફાર
દિવાળી પહેલા જ ડુંગળીના વધતા ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. ડુંગળીના વધતા ભાવ દેશમાં સામાન્ય લોકોની કમર કસવા મજબૂર કરી શકે તેમ છે. હાલમાં દેશમાં મોંઘવારી દરને 6 ટકાના સ્તરે લઈ જઈ શકે છે.
નવેમ્બરના માત્ર 8 દિવસ પર નજર કરીએ તો ઓકટોબરની સરખામણીએ ડુંગળીના ભાવમાં અત્યાર સુધીમાં 75 ટકાનો વધારો થયો છે. આ કારણે આવનારા મહિનામાં મોંઘવારી દર 6%ના સ્તરે પહોંચી શકે છે, જેના કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રેપો રેટમાં પણ ફેરફાર કરી શકે છે.
શું ઓક્ટોબરના આંકડા પણ મોંઘવારી બતાવશે?
નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું છે કે, ઓક્ટોબરમાં છૂટક ફુગાવાનો દર 5.3 ટકા રહી શકે છે. સપ્ટેમ્બરમાં તે માત્ર 5% હતો. આ કારણે નવેમ્બર અને ડિસેમ્બરમાં દેશનો કોર મોંઘવારી દર 6%ના સ્તરને સ્પર્શી શકે છે. ઓક્ટોબરમાં ટામેટાના ભાવ ઘટવાને કારણે મોંઘવારી ઘટવાની ધારણા હતી, પરંતુ ઓક્ટોબરના અંત સુધીમાં શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
આ રીતે ડુંગળી મોંઘવારીને અસર કરે છે
જ્યારે દેશમાં છૂટક ફુગાવાનો દર માપવામાં આવે છે, ત્યારે તેના માટે ગ્રાહક ભાવ સૂચકાંક બનાવવામાં આવે છે. આ ઇન્ડેક્સનો એક ભાગ ફૂડ પ્રાઈસ ઈન્ડેક્સ પણ છે, જેમાં ટામેટાં, ડુંગળી અને બટાકાની કિંમતોનું વજન છે. છૂટક ફુગાવાનો દર નક્કી કરતી ટોપલીમાં ડુંગળીનું વજન 0.64 ટકા છે. જ્યારે ટામેટાંનું વજન 0.57 ટકા છે. તેથી ડુંગળીના ભાવ ફુગાવાના દરને અસર કરે છે.
સરકાર પાસે 5 લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક છે. તેમાંથી ઓક્ટોબરના અંત સુધીમાં સરકારે 1.70 લાખ ટન ડુંગળી બજારમાં ઉતારી છે. આગામી દિવસોમાં મોંઘવારી ઘટાડવા માટે સરકાર વધુ ડુંગળી બજારમાં ઉતારી શકે છે.