8th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પંચની ભલામણો ખૂબ મહત્વની છે. આ દિશામાં આગળ વધતા ચેન્નાઈમાં 7 અને 8 સપ્ટેમ્બરના રોજ પગાર પંચની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માન્ય કર્મચારી યુનિયનોની સાથે અનેક પેન્શનર્સ સંગઠનોએ પણ ભાગ લીધો હતો. બેઠકનો મુખ્ય હેતુ પેન્શનર્સની સમસ્યાઓ અને તેમની માંગણીઓ સાંભળવાનો હતો.

અંતિમ રિપોર્ટ પહેલાં તમામ પક્ષોની વાત સાંભળવામાં આવી રહી છે

8મો પગાર પંચ કેન્દ્ર સરકારને અંતિમ રિપોર્ટ સોંપતા પહેલાં અલગ-અલગ પક્ષોની સલાહ અને સૂચનો લઈ રહ્યો છે. ‘ધ હિંદુ’ના અહેવાલ મુજબ, ચેન્નાઈમાં યોજાયેલી બેઠકમાં નિવૃત્તિ લાભ વધારવા, પેન્શન સંબંધિત ફરિયાદો દૂર કરવા અને કર્મચારીઓનું જીવનધોરણ સુધારવા પર ખાસ ચર્ચા થઈ હતી. આ બેઠકો મહત્વની છે, કારણ કે તેના આધારે ભવિષ્યમાં કર્મચારીઓના પગાર અને ભથ્થાંનું માળખું નક્કી થઈ શકે છે.

ચેન્નાઈની બેઠકમાં પેન્શનર્સે 5 મોટી માંગ કરી

1. જૂની પેન્શન યોજના ફરી લાગુ કરો

પહેલી માંગ જૂની પેન્શન યોજના (OPS) ફરી લાગુ કરવાની છે. લાંબા સમયથી સરકારી કર્મચારીઓ દ્વારા આ માંગ કરવામાં આવી રહી છે. પેન્શનર્સ સંગઠનોનું કહેવું છે કે જૂની પેન્શન યોજના ફરી લાગુ થવાથી નિવૃત્ત કર્મચારીઓને આર્થિક સુરક્ષા મળી શકે છે.

2. પેન્શન અને ફેમિલી પેન્શનમાં વધારો

બીજી માંગ પેન્શન અને ફેમિલી પેન્શનમાં વધારો કરવાની છે. પેન્શન વધવાથી નિવૃત્ત કર્મચારીઓને વધુ આર્થિક મદદ મળશે. સાથે જ ફેમિલી પેન્શનમાં વધારો થવાથી પેન્શનર પર નિર્ભર પરિવારના સભ્યોને પણ વધુ સુરક્ષા મળી શકે છે.

3. કમ્યુટેશન રિકવરીમાં રાહત

ત્રીજી માંગ કમ્યુટેશન રિકવરીના નિયમોમાં રાહત આપવાની છે. કમ્યુટેડ પેન્શનની રિકવરીના નિયમોને કારણે કેટલીક વખત કર્મચારીઓની માસિક પેન્શન પર અસર પડે છે. ફોરમ ઈચ્છે છે કે પેન્શનમાંથી કપાત કરવામાં આવતા હિસ્સાના નિયમો વધુ સ્પષ્ટ કરવામાં આવે, જેથી દર મહિને મળતી પેન્શન પર વધારે અસર ન પડે.

4.MACP અને ડાક કર્મચારીઓના પગારમાનમાં સુધારો

ચોથી માંગ MACP એટલે કે મોડિફાઇડ એશ્યોર્ડ કરિયર પ્રોગ્રેશનના લાભોમાં ફેરફાર કરવાની છે. પ્રતિનિધિઓનું માનવું છે કે તેમાં સુધારો કરવામાં આવે તો કર્મચારીઓને નોકરી દરમિયાન આગળ વધવાની વધુ સારી તક મળી શકે છે. આ સાથે ડાક કર્મચારીઓના પગારમાનમાં સુધારો કરવાની માંગ પણ કરવામાં આવી છે.

5. વધુ સારા ભથ્થાં અને સામાજિક સુરક્ષા

પાંચમી માંગમાં વધુ સારા ભથ્થાં, રજાના નિયમોને સરળ બનાવવા અને મજબૂત સામાજિક સુરક્ષા આપવાની વાત કરવામાં આવી છે. પેન્શનર્સ અને કર્મચારીઓ માટે આ સુવિધાઓમાં સુધારો થાય તો તેમની આર્થિક અને સામાજિક સુરક્ષા વધુ મજબૂત બની શકે છે.

લઘુત્તમ પગાર ₹68 હજાર કરવાની માંગ

પેન્શન ઉપરાંત કર્મચારી પ્રતિનિધિઓએ પગાર સાથે જોડાયેલા અન્ય મહત્વના મુદ્દાઓ પણ રજૂ કર્યા હતા. તેમાં પગારમાં ફેરફાર માટે કાયમી વ્યવસ્થા બનાવવાની માંગ મુખ્ય છે. પ્રતિનિધિઓએ લઘુત્તમ પગાર વધારીને ₹68,000 કરવાની ભલામણ કરી છે. આ ઉપરાંત હાલના પે-મેટ્રિક્સની સાથે ‘રનિંગ સ્કેલ’ લાગુ કરવાની પણ માંગ કરવામાં આવી છે.

મહિલા અને દિવ્યાંગ કર્મચારીઓની સમસ્યાઓ પર પણ ચર્ચા

બેઠકમાં મહિલા કર્મચારીઓની ખાસ જરૂરિયાતો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. દિવ્યાંગ કર્મચારીઓને કામ દરમિયાન પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટેના ઉપાયો અંગે પણ સૂચનો માંગવામાં આવ્યા હતા. કર્મચારીઓને નોકરી દરમિયાન પ્રમોશન અને આગળ વધવાની તક અંગે પણ પ્રતિનિધિઓએ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. આ તમામ ફેરફારોની સીધી અસર કર્મચારીઓના ભવિષ્ય પર પડી શકે છે. જોકે, અંતિમ નિર્ણય સરકારની મંજૂરી બાદ જ લેવામાં આવશે.

ચંડીગઢમાં 8મા પગાર પંચની આગામી બેઠક

8મા પગાર પંચની રચના 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી. તેની અધ્યક્ષતા જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે પંચને પોતાનો અંતિમ રિપોર્ટ સોંપવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે. અત્યાર સુધીમાં પંચનો 10 મહિનાથી વધુનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે.

મે-જૂન 2027 સુધી રિપોર્ટ આવવાની શક્યતા

એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે 8મો પગાર પંચ મે-જૂન 2027 સુધીમાં પોતાનો રિપોર્ટ સરકારને સોંપી શકે છે. દેશભરના લાખો પેન્શનર્સ માટે પંચની ભલામણો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ચેન્નાઈ બાદ હવે પંચની આગામી મહત્વની બેઠક 16, 17 અને 18 સપ્ટેમ્બરના રોજ ચંડીગઢમાં યોજાવાની છે.

આ પણ વાંચો: રહેમરાહે નોકરી મેળવનારાઓને મળશે જૂની પેન્શન યોજના (OPS) નો લાભ, 3 માસમાં અરજી ફરજિયાત