Sugar Price: તહેવારોની સિઝનમાં ખાંડનો સૌથી વધુ ઉપયોગ થાય છે. તે જ સમયે ખાંડના ભાવમાં વધારો થતાં લોકોની ચિંતા વધી છે. ઘણા લોકોને લાગી રહ્યું હતું કે આ તહેવારમાં મીઠાઈઓ પણ મોંઘી થશે અને તહેવારોની મીઠાશ ઓછી થઈ શકે છે. જોકે, હવે સરકાર અને ખાંડ રિફાઇનરીઓ સાથે મળીને લોકોને રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે ખાંડ રિફાઇનરીઓ સ્થાનિક બજારમાં લાખો ટન ખાંડ વેચવાની તૈયારી કરી રહી છે.
સ્થાનિક બજારમાં અઢી લાખ ટન ખાંડ વેચવાની યોજના
શ્રી રેણુકા શુગર્સના MD અને CEO સુશીલ કુમારે તાજેતરમાં જણાવ્યું કે, ભારતીય રિફાઇનરીઓ સ્થાનિક બજારમાં લગભગ અઢી લાખ ટન ખાંડ વેચવાની યોજના બનાવી રહી છે. આ સ્ટોક બજારમાં આવ્યા બાદ ખાંડના ભાવને નિયંત્રણમાં રાખવામાં મદદ મળી શકે છે.
https://twitter.com/PTI_News/status/2097627941882732698
ખાંડનો સ્ટોક કેમ વેચવામાં આવી રહ્યો છે?
સરકાર અને શુગર રિફાઇનરીઓનો પ્રયાસ છે કે તહેવારોની સિઝનમાં લોકો પર મોંઘી ખાંડનો બોજ ન વધે. તેથી ખાંડના ભાવ ઘટાડવા માટે શક્ય તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અઢી લાખ ટન ખાંડનો સ્ટોક બજારમાં વેચવાનો નિર્ણય પણ આ જ પ્રયાસનો એક ભાગ છે. થોડા દિવસ પહેલાં ખાંડના ભાવમાં ઘટાડો પણ જોવા મળ્યો હતો. ગ્રાહક બાબતોના મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ દેશમાં ખાંડનો સરેરાશ છૂટક ભાવ અગાઉ 65.08 રૂપિયા પ્રતિ કિલો હતો, જે ઘટીને 62.57 રૂપિયા પ્રતિ કિલો થયો છે.
જથ્થાબંધ ભાવ ઘટ્યા છતાં લોકોને રાહત નહીં
ચોંકાવનારી વાત એ છે કે ખાંડના જથ્થાબંધ ભાવમાં પ્રતિ કિલો 17 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. મિલ સ્તરે એટલે કે Ex-Mill ખાંડના ભાવમાં પ્રતિ કિલો 17થી 20 રૂપિયા સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. પરંતુ, આ ઘટાડાનો ફાયદો સામાન્ય ગ્રાહકોને હજુ સુધી પૂરતો મળ્યો નથી. ગલી-મહોલ્લાની કરિયાણાની દુકાનોમાં લોકોને ખાંડ માત્ર 2થી 3 રૂપિયા પ્રતિ કિલો સસ્તી મળી રહી છે.
હવે ખાંડના ભાવમાં વધુ રાહતની આશા
હવે આશા રાખવામાં આવી રહી છે કે જ્યારે શગર રિફાઇનરીઓ આ મોટો સ્ટોક સ્થાનિક બજારમાં વેચશે, ત્યારે ખાંડના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે. તેનાથી તહેવારોની સિઝનમાં સામાન્ય લોકોને ખાંડના વધેલા ભાવમાંથી થોડી રાહત મળી શકે છે.
આ પણ વાંચો: તહેવારો પહેલા ખાંડના ભાવ ઘટશે કે નહી? સરસિયુ 200 રૂપિયે, જાણો રાહત ક્યારે મળશે