જે લોકો પોતાનું ઘર ખરીદવાનું આયોજન કરી રહ્યા છે તેમના માટે એક ખૂબ જ સારા અને રાહતજનક સમાચાર સામે આવ્યા છે. બેંક ઓફ મહારાષ્ટ્રે ગ્રાહકોને આકર્ષક ઓફર આપતા હોમ લોન પરના વ્યાજ દરમાં મોટો ઘટાડો કર્યો છે. હવે બેંક દ્વારા હોમ લોન પરનો પ્રારંભિક વાર્ષિક વ્યાજ દર ઘટાડીને માત્ર 7 ટકા કરવામાં આવ્યો છે, જે ખરીદદારો માટે મોટી આર્થિક રાહત સમાન છે.
વ્યાજ દર ગ્રાહકોના ક્રેડિટ સ્કોર પર નિર્ભર રહેશે
બેંક ઓફ મહારાષ્ટ્રની સત્તાવાર વેબસાઇટ પર આપેલી માહિતી મુજબ, આ ખાસ વ્યાજ દર ગ્રાહકોના ક્રેડિટ સ્કોર પર નિર્ભર રહેશે. જો કોઈ ગ્રાહકનો સિબિલ કે ક્રેડિટ સ્કોર 800 કે તેથી વધુ સારો હોય, તો તેઓ માત્ર 7 ટકાના સૌથી ઓછા વ્યાજ દરે હોમ લોન મેળવી શકે છે. જ્યારે 750 થી 799 ની વચ્ચેનો ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકોને 7.25 ટકાના વ્યાજ દરે લોન મળી શકશે. આકર્ષક વ્યાજ દરની સાથેસાથે બેંકે ગ્રાહકોને વધુ એક મોટી રાહત આપતા હોમ લોન પર લાગતી પ્રોસેસિંગ ફી સંપૂર્ણપણે માફ કરી દીધી છે. સામાન્ય રીતે લોન લેતી વખતે ગ્રાહકોએ પ્રોસેસિંગ ફી પેટે હજારો રૂપિયા ચૂકવવા પડતા હોય છે, પરંતુ આ ફી માફ થવાથી લોન લેતી વખતે થતો પ્રારંભિક ખર્ચ ઘણો ઘટી જશે, જે મધ્યમ વર્ગના પરિવારો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
