કેન્દ્ર સરકારે લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)માં પોતાની 6.5 ટકા સુધીની હિસ્સેદારી ઓફર ફોર સેલ (OFS) મારફતે વેચવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ પ્રક્રિયા સરકારના ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમનો ભાગ છે. સરકારે OFS માટે પ્રતિ શેર ₹382નો ફ્લોર પ્રાઈસ નક્કી કર્યો છે, જે સોમવારે LICના બંધ ભાવ ₹424.35 કરતાં અંદાજે 11 ટકા ઓછો છે.

8 ઓગસ્ટ સુધી ટ્રેડિંગ વિન્ડો બંધ રહેશે

ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)ના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં 2.5 ટકા હિસ્સો વેચવામાં આવશે. જો રોકાણકારો તરફથી વધુ માગ આવશે તો 4 ટકાનો ગ્રીનશૂ વિકલ્પ પણ અમલમાં મૂકવામાં આવશે. આ રીતે કુલ 6.5 ટકા સુધીની હિસ્સેદારી વેચી શકાય છે. OFS 4 ઓગસ્ટે બિન-રિટેલ (Non-Retail) રોકાણકારો માટે ખુલશે, જ્યારે રિટેલ રોકાણકારો 5 ઓગસ્ટે તેમાં ભાગ લઈ શકશે. LICએ આ દરમિયાન કંપનીની ટ્રેડિંગ વિન્ડો 8 ઓગસ્ટ, 2026 સુધી બંધ રાખવાની માહિતી પણ આપી છે.

કેટલી છે સરકારની ભાગીદારી?

હાલમાં LICમાં ભારત સરકારની 96.5 ટકા હિસ્સેદારી છે. OFS પૂર્ણ થયા બાદ સરકારનો હિસ્સો ઘટીને આશરે 90 ટકા રહેશે. DIPAMના સચિવ અરુણિશ ચાવલાએ જણાવ્યું હતું કે આ હિસ્સેદારી વેચાણથી સરકાર ન્યૂનતમ જાહેર શેરહોલ્ડિંગનું લક્ષ્ય નિર્ધારિત સમય પહેલાં જ હાંસલ કરી શકશે.

નોંધનીય છે કે સેબીએ (SEBI) LICને મે 2027 સુધી સરકારની હિસ્સેદારી 90 ટકા સુધી ઘટાડવા માટે સમય આપ્યો હતો. જાહેર શેરહોલ્ડિંગના નિયમો અનુસાર સૂચિબદ્ધ કંપનીઓએ નિર્ધારિત સમયમર્યાદામાં જાહેર રોકાણકારોનો હિસ્સો વધારવો જરૂરી હોય છે. આ OFS તે જ દિશામાં સરકારનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Coal India Production: સરકારી કંપનીનું કોલસાનું પ્રોડક્શન 8 ટકા વધ્યું, શેરના ભાવ પર રહેશે નજર

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.