ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની 3 દિવસીય નાણાકીય નીતિ સમીક્ષા બેઠક 4 ફેબ્રુઆરી બુધવારથી શરૂ થશે. આ બેઠક વિકાસ-કેન્દ્રિત કેન્દ્રીય બજેટ, નીચા ફુગાવા અને તાજેતરમાં લાંબા સમયથી રાહ જોવાતી ભારત-અમેરિકા વેપાર કરારની રજૂઆત વચ્ચે થઈ રહી છે જેણે બાહ્ય અસ્થિરતાને દૂર કરી છે.


શું લોનને વધુ સસ્તી બનાવાશે?

નિષ્ણાતોના મતે ગયા વર્ષે ફેબ્રુઆરીથી RBI એ રેપો રેટમાં કુલ 1.25 ટકાનો ઘટાડો કર્યો છે અને હાલમાં વૃદ્ધિ કે ફુગાવા અંગે કોઈ મોટી ચિંતા નથી, તેથી વ્યાજ દર સ્થિર રાખી શકાય છે. જો કે, કેટલાક નિષ્ણાતો એમ પણ કહી રહ્યા છે કે લોનને વધુ સસ્તી બનાવવા માટે બીજો દર ઘટાડો શક્ય છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાની આગેવાની હેઠળની 6 સભ્યોની નાણાકીય નીતિ સમિતિનો નિર્ણય શુક્રવારે જાહેર કરવામાં આવશે. એક નિષ્ણાંતે જણાવ્યું હતું કે MPC રેપો રેટને હોલ્ડ પર રાખે તેવી શક્યતા છે અને આનાથી દર ઘટાડવાના ચક્રનો અંત આવી શકે છે.

લોન EMIમાં કેટલો થયો ઘટાડો?

સંજય મલ્હોત્રાએ RBI ગવર્નરનો હોદ્દો સંભાળ્યો ત્યારબાદ RBIએ રેપો રેટમાં સતત ઘટાડો જોયો છે. ફક્ત ઓગસ્ટ અને ઓક્ટોબરમાં જ RBI ગવર્નરે પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. ફેબ્રુઆરીમાં 25 બેસિસ પોઈન્ટ, એપ્રિલમાં 25 બેસિસ પોઈન્ટ અને જૂનની બેઠકમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડિસેમ્બરમાં વધુ 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો લાગુ કરવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે 2025માં 125 બેસિસ પોઈન્ટનો ઘટાડો, એક નોંધપાત્ર ઘટાડો. પરિણામે રેપો રેટ 5.25% પર પહોંચી ગયો છે. શુક્રવારે જાહેર થશે કે RBI ગવર્નર લોન EMI પર સામાન્ય લોકોને રાહત આપશે કે વ્યાજ દરો પર પોઝ બટન દબાવશે.

આ પણ વાંચો : India US Trade Deal News: મુખ્ય 4 શરતો બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે વેપાર કરારને આપી મંજૂરી


  • Follow us on: