ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા દેશના વિદેશી મુદ્રા ભંડારને મજબૂત બનાવવા શરૂ કરાયેલી વિશેષ યોજનાઓને નોંધપાત્ર સફળતા મળી રહી છે. RBIના તાજેતરના આંકડા મુજબ, 31 જુલાઈ 2026 સુધીમાં આ યોજનાઓ મારફતે ભારતને કુલ 40.81 અબજ અમેરિકી ડોલર (આશરે ₹3.5 લાખ કરોડ)ની વિદેશી મૂડી મળી છે. આ પગલાથી દેશના વિદેશી મુદ્રા ભંડારમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વિનિમય દરમાં થતા ફેરફારનું જોખમ પણ ઓછું
આ યોજનાઓમાં સૌથી મોટો ફાળો ફોરેન કરન્સી નોન-રેસિડન્ટ (FCNR) ડિપોઝિટ યોજનાનો રહ્યો છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 36.72 અબજ ડોલર જમા થયા છે, આ રકમ માત્ર બે મહિનાથી પણ ઓછા સમયમાં પ્રાપ્ત થઈ છે. આ આંકડો વર્ષ 2013માં નોંધાયેલા 26 અબજ ડોલરના અગાઉના રેકોર્ડને પણ પાછળ છોડી ગયો છે. FCNR યોજના હેઠળ વિદેશમાં રહેતા ભારતીયો પોતાની વિદેશી કરન્સી, જેમ કે અમેરિકી ડોલર, ભારતની બેન્કોમાં જમા કરાવી શકે છે. તેમને આ જમા પર આકર્ષક વ્યાજ મળે છે તેમજ વિનિમય દરમાં થતા ફેરફારનું જોખમ પણ ઓછું રહે છે. RBIએ બેન્કોને સપ્ટેમ્બરના અંત સુધી ઝીરો-કોસ્ટ હેજિંગ હેઠળ આ જમા રકમનું સ્વેપ કરવાની પણ સુવિધા આપી છે.
