vehicle insurance: જો તમે પણ રોજ કાર, બાઈક કે અન્ય વાહનમાં પેટ્રોલ-ડીઝલ ભરાવો છો, તો હાલમાં માન્ય થર્ડ-પાર્ટી મોટર ઇન્સ્યોરન્સ વગર વાહન ચલાવવું નિયમ વિરુદ્ધ છે. હવે ભવિષ્યમાં આવા વાહનોને પેટ્રોલ-ડીઝલ ભરાવવામાં પણ મુશ્કેલી પડી શકે છે.

પેટ્રોલ પંપ પર નંબર પ્લેટ સ્કેન થશે

વાસ્તવમાં વીમા નિયમનકાર IRDAI એક સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યું છે. આ સિસ્ટમમાં પેટ્રોલ પંપ પર વાહનમાં ઈંધણ ભરતા પહેલાં તેની નંબર પ્લેટ સ્કેન કરીને વીમો છે કે નહીં તે તપાસી શકાય છે. આ માટે ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નિશન (ANPR) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

IIB અને VAHANના રેકોર્ડથી થશે તપાસ

ANPR કેમેરા વાહનની નંબર પ્લેટ વાંચશે. ત્યારબાદ વાહનનો નંબર Insurance Information Bureau (IIB) અને VAHANના રેકોર્ડ સાથે મેચ કરવામાં આવશે. આ રીતે વાહનનો થર્ડ-પાર્ટી ઈન્સ્યોરન્સ માન્ય છે કે નહીં તે તપાસી શકાશે. હાલ આ સિસ્ટમ પસંદગીના શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવાની તૈયારી છે.

No Insurance-No Fuel સિસ્ટમ કેવી રીતે કામ કરશે?

  • પેટ્રોલ પંપ પર આવતા વાહનોની નંબર પ્લેટ ANPR કેમેરાથી સ્કેન કરવામાં આવી શકે છે. ત્યારબાદ નંબરના આધારે વાહનનો વીમો માન્ય છે કે નહીં તેની માહિતી મેળવવામાં આવશે.
  • ANPR કેમેરા વાહનની નંબર પ્લેટ ઓળખશે.
  • વાહન નંબર પરથી વીમાની વિગતો તપાસવામાં આવશે.
  • IIBમાં રહેલી વીમાની માહિતી અને VAHANના વાહન રેકોર્ડનો ઉપયોગ થશે.

પેટ્રોલ પંપ પર શું બદલાઈ શકે?

જો પાયલોટ પ્રોજેક્ટ સફળ થાય અને આ સિસ્ટમને મોટા પાયે લાગુ કરવામાં આવે, તો ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલ ભરતા પહેલાં વાહનનો ઈન્સ્યોરન્સ સ્ટેટસ તપાસવામાં આવી શકે છે. માન્ય થર્ડ-પાર્ટી મોટર ઈન્સ્યોરન્સ ન હોય તો પેટ્રોલ કે ડીઝલ આપવાનો ઇનકાર કરવાની જોગવાઈ પણ આવી શકે છે. આવી વ્યવસ્થા લાગુ થવાથી વાહનચાલકોમાં ફરજિયાત થર્ડ-પાર્ટી મોટર ઈન્સ્યોરન્સને લઈને જાગૃતિ વધવાની શક્યતા છે. સાથે જ વીમા વગરના વાહનોની ઓળખ કરવામાં પણ મદદ મળી શકે છે.

સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ તૈયારી

આ પહેલ સુપ્રીમ કોર્ટના 4 ઓગસ્ટના નિર્ણય સાથે જોડાયેલી છે. કોર્ટે IRDAIને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય (MoRTH) સાથે મળીને એક પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરવા કહ્યું હતું. આ પ્રોજેક્ટમાં વાહનના માન્ય વીમા અને પેટ્રોલ-ડીઝલની સપ્લાય વચ્ચે કોઈ વ્યવસ્થા બનાવી શકાય કે નહીં તેની તપાસ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા આંકડા મુજબ, દેશમાં કુલ 30.48 કરોડ રજિસ્ટર્ડ વાહનોમાંથી 16.54 કરોડ વાહનો પાસે માન્ય વીમો નહોતો. એટલે કે દેશના લગભગ 56 ટકા રજિસ્ટર્ડ વાહનો આ શ્રેણીમાં આવતા હતા.

આ પણ વાંચો: ભારતમાં 44 ટકા વાહનો વીમા વગરના, સરકારે રિપોર્ટમાં કર્યો ખુલાસો