છેલ્લા ઘણા સમયથી ખાદ્ય પદાર્થોમાં મોંઘવારી ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે સૂત્રો અનુસાર એવી માહિતી મળી રહી છે કે ઘી, માખણ,પનીર, દૂધ પાઉડર , ટૂથ પેસ્ટ અને શેમ્પુ જેવો સામાન કે જેની પર 12થી 18 ટકા જીએસટી ટેક્સ વસૂલવામાં આવે છે તેને ઘટાડીને 5 ટકા કરવાની સંભાવના જણાઇ રહી છે. જો આવુ થાય તો ઘી અને માખણ સસ્તુ થઇ શકે છે. પરંતુ શું દૂધના ભાવમાં ઘટાડો થશે ખરા ?
ઘટશે ઘી માખણની કિંમત ?
જો ઘી અને માખણ પરનો GST 12% થી ઘટાડીને 5% કરવામાં આવે, તો ગ્રાહકોને 7% સુધીનો સીધો ફાયદો મળી શકે છે. ઉદાહરણ તરીકે, હાલમાં 500 રૂપિયા પ્રતિ કિલો ઘી ગ્રાહકને ટેક્સ ઉમેરીને 560 રૂપિયાની આસપાસ પડે છે. બીજી તરફ જો નવા ભાવ લાગુ કરવામાં આવે તો GST ઘટાડા પછી તે જ ભાવ 525 રૂપિયાની આસપાસ થશે.
દૂધ પર શું અસર થશે?
દૂધને સીધી રીતે GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે. એટલે કે દૂધ પર GST લાગતો નથી, પરંતુ ચીઝ, માખણ, ઘી, દૂધ પાવડર જેવા દૂધના ઉત્પાદનો પર કર દર લાગુ પડે છે. જો આના પર GST ઘટાડવામાં આવે છે, તો પરોક્ષ રીતે દૂધની સપ્લાય ચેઇન અને ઉત્પાદન ખર્ચ પર અસર થશે, જેના કારણે લાંબા ગાળે દૂધની કિંમત પણ સ્થિર થઈ શકે છે અથવા વધારાની ગતિ ઘટી શકે છે. પરંતુ આ અંગે હજુ સુધી કંઈ નક્કી કરવામાં આવ્યું નથી.
બજાર અને ગ્રાહકો પર શું અસર થશે?
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ટેક્સના દરોમાં ઘટાડો કરવામાં આવે તો વપરાશ અને વેચાણ બંનેમાં વધારો થશે.વળી તહેવારોની મોસમ પહેલા આ ફેરફાર લાગુ કરવામાં આવે તો ગ્રાહકો મોટી માત્રામાં ખરીદી કરી શકશે. નાના વેપારીઓ અને ડેરી ઉદ્યોગને પણ આનાથી પ્રોત્સાહન મળશે.