શેરબજારમાં રેગ્યુલેટ કરતી સંસ્થા SEBIએ SME IPOને લઈને નિયમો કડક કરી દીધા છે. SME IPOમાં નફો ઉમેરવામાં આવ્યો છે અને પ્રમોટર્સની ઓફર ફોર સેલ (OFS) માટે 20 ટકાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. નિયમો કડક બનાવવાનો ઉદ્દેશ્ય સારા 'ટ્રેક રેકોર્ડ' ધરાવતા SMEsને રોકાણકારોના હિતોનું રક્ષણ કરતી વખતે લોકોના પૈસા એકત્ર કરવાની તક પૂરી પાડવાનો છે. જો સારા SME IPO આવે તો રોકાણકારોની ફસાઈ જવાની શક્યતા ઓછી થશે.
નફાના નિયમો અંગે સેબીએ શું કહ્યું ?
સેબી દ્વારા આ નિર્ણય SME IPOની વધતી સંખ્યાને પગલે લેવામાં આવ્યું છે, જેમાં રોકાણકારોની નોંધપાત્ર ભાગીદારી મળી છે. નફાના નિયમો અંગે સેબીએ જણાવ્યું હતું કે IPO લોન્ચ કરવાની યોજના બનાવી રહેલા SMEsનો છેલ્લા 3 નાણાકીય વર્ષોમાંથી ઓછામાં ઓછા 2 વર્ષ માટે ઓછામાં ઓછો ઓપરેટિંગ નફો રૂપિયા 1 કરોડ હોવો જોઈએ.
20% સુધીની લિમિટ નક્કી કરવામાં આવી
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ 4 માર્ચે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જે મુજબ SME IPO હેઠળ ઓફર ફોર સેલ હેઠળ શેરધારકોનો હિસ્સો વેચવાનો અધિકાર કુલ IPO કદના 20 ટકા સુધી મર્યાદિત કરવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે હવે SME IPO હેઠળ 20 ટકાથી વધુ શેર ઓફર ફોર સેલ (OFS) દ્વારા જાહેર કરી શકાશે નહીં. વધુમાં, વેચાણકર્તા શેરધારકોને તેમના હાલના હોલ્ડિંગના 50 ટકાથી વધુ વેચવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
સેબીએ લોટ સાઈઝ પણ વધારી
બીજી તરફ SEBIએ SME IPO માટે લઘુત્તમ અરજીની સાઈઝ વધારીને 2 લોટ કરી દીધી છે. આનાથી SME IPO સંબંધિત બિનજરૂરી અટકળોનો અંત આવશે. આનાથી ભોળા રોકાણકારોના હિતોનું રક્ષણ કરવામાં મદદ મળશે, જેઓ સામાન્ય રીતે શેરના વધતા ભાવને જોઈને રોકાણ કરે છે. SME IPOમાં સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્ય (GCP) માટે ફાળવવામાં આવેલી રકમ કુલ ઈશ્યૂ કદના 15 ટકા અથવા રૂપિયા 10 કરોડ, જે પણ ઓછી હોય તે મર્યાદામાં છે. સેબીના જણાવ્યા અનુસાર SME IPOમાંથી મળેલી રકમનો ઉપયોગ પ્રમોટરો, પ્રમોટર જૂથ અથવા સંબંધિત પક્ષો પાસેથી સીધી કે આડકતરી રીતે લેવામાં આવેલી લોન ચૂકવવા માટે કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.