- મોબાઈલ રિચાર્જના 15થી 17 ટકાનો વધારો ઝીંકાશે
- ડિસેમ્બર-2021 પછી મોબાઈલ રિચાર્જમાં કોઈ વધારો નથી કરાયો
- લોકસભા ચૂંટણી પત્યા બાદ તમારા પોકેટ પર ભારે અસર થશે
દેશમાં લોકસભા ચૂંટણીનું પરિણામ ચાર જૂને જાહેર કરવામાં આવશે. ત્યારબાદ તમારા મોબાઈલ બિલનું રિચાર્જ વધી જશે. ચૂંટણી પછી ટેલિકોમ કંપનીઓ રિચાર્જ દરમાં 15થી 17 ટકાનો વધારો ઝીંકશે. એક રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરાયો છે. આખા દેશમાં 19 એપ્રિલથી એક જૂન સુધી સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. ચાર જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે. એક રિપોર્ટ પ્રમાણે આ ક્ષેત્રમાં ચાર્જમાં વધારો થશે. અને ભારતી એરટેલને આનો સૌથી વધુ ફાયદો થઈ શકે છે. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, ‘‘અમને આશા છે કે ચૂંટણીઓ પત્યા બાદ બિઝનેસ 15થી 17 ટકાનો ચાર્જ વધારશે.’’
ડિસેમ્બર-2021 પછી કોઈ વધારો નહીં
છેલ્લી વખત ડિસેમ્બર-2021માં લગભગ 20 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ભારતની બીજા ક્રમની સૌથી મોટી ટેલિકોમ કંપની માટે સબસ્ક્રાઇબર દીઠ સરેરાશ કમાણી (ARPU)નો અંદાજ મૂકતા, બ્રોકરેજ નોંધમાં જણાવાયું છે કે ભારતીનું વર્તમાન રૂ. 208નું ARPU નાણાકીય વર્ષ 2026-27ના અંત સુધીમાં રૂ. 286 સુધી પહોંચે તેવી શક્યતા છે. અહેવાલમાં જણાવાયું છે કે, "અમે અપેક્ષા રાખીએ છીએ કે ભારતી એરટેલનો ગ્રાહક આધાર વાર્ષિક અંદાજે બે ટકાના દરે વધશે, જ્યારે ઉદ્યોગ વાર્ષિક એક ટકાના દરે વૃદ્ધિ પામશે."
વોડાફોન આઈડિયાનો માર્કેટ શેર
તેણે ગ્રાહકના આધારે જણાવ્યું હતું કે, "વોડાફોન આઈડિયાનો બજાર હિસ્સો સપ્ટેમ્બર 2018માં 37.2 ટકાથી લગભગ અડધો ઘટીને ડિસેમ્બર 2023માં 19.3 ટકા થઈ ગયો છે." આ સમયગાળા દરમિયાન ભારતીનો બજાર હિસ્સો 29.4 ટકાથી વધીને 33 ટકા થયો છે. આ સમયગાળા દરમિયાન Jioનો માર્કેટ શેર 21.6 ટકાથી વધીને 39.7 ટકા થયો છે.