નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે રજૂ કરેલા બજેટ 2026-27 માં ભારતની ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહરને વૈશ્વિક ફલક પર લઈ જવા માટે મોટી જાહેરાત કરી છે. સરકાર ખાસ કરીને ઉત્તર-પૂર્વીય (નોર્થ-ઈસ્ટ) ભારતમાં 'બૌદ્ધ સર્કિટ' વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ યોજના અંતર્ગત અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, આસામ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા જેવા 6 મહત્વના રાજ્યોમાં બૌદ્ધ મઠોનું નિર્માણ અને જૂના મઠોનું સંરક્ષણ કરવામાં આવશે. આનાથી બૌદ્ધ ધર્મના અનુયાયીઓ અને વિદેશી પ્રવાસીઓ માટે આકર્ષણ વધશે.
નોર્થ-ઈસ્ટ માટે સુવિધાઓનો પિટારો
માત્ર ધાર્મિક સ્થળો જ નહીં, પણ ત્યાંની પાયાની સુવિધાઓમાં પણ મોટો સુધારો કરવામાં આવશે. પર્યાવરણની જાળવણી અને પરિવહનની સુવિધા માટે નોર્થ-ઈસ્ટના રાજ્યોમાં 4,000 નવી ઈલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે. આ ઉપરાંત, પૂર્વોત્તર રાજ્યોમાં કળા અને કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે 'નેશનલ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ' (NDI) ની સ્થાપના કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. 'પૂર્વોદય' યોજના હેઠળ આ રાજ્યોમાં ૫ નવા પર્યટન સ્થળો વિકસાવવાનું લક્ષ્ય છે.













