વુમન્સ T20 એશિયા કપ 2026ની ફાઇનલ પહેલાં ટ્રોફીને લઈને ચર્ચા તેજ બની છે.એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ મોહસિન નકવી ફાઇનલમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાના અહેવાલ છે.એટલું જ નહીં વિજેતા ટીમને ટ્રોફી પણ તેમના હાથે આપવામાં આવી શકે છે.આવી સ્થિતિમાં જો ભારતીય મહિલા ટીમ ફાઇનલમાં પહોંચે અને ખિતાબ જીતી લે,તો ટ્રોફી સ્વીકારવાની પ્રક્રિયા પર સૌની નજર રહેશે.દુબઈમાં 13 સપ્ટેમ્બરે મહિલા એશિયા કપની ફાઇનલ રમાવાની છે.ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી મજબૂત પ્રદર્શન કરી રહી છે અને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરી ચૂકી છે. તેથી ભારતીય ટીમ ખિતાબની મુખ્ય દાવેદાર માનવામાં આવી રહી છે.
નકવીને લઈને કેમ થઈ રહી છે ચર્ચા?
મોહસિન નકવી એક તરફ ACCના પ્રમુખ છે,જ્યારે બીજી તરફ તેઓ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન પણ છે.આ કારણે જો ભારત ફાઇનલમાં પહોંચે અને ચેમ્પિયન બને તો ટ્રોફી પ્રેઝન્ટેશનને લઈને રસપ્રદ સ્થિતિ ઊભી થઈ શકે છે.હાલ ભારતીય ટીમ તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.આ ચર્ચાનું મુખ્ય કારણ ગયા વર્ષે પુરુષ એશિયા કપની ફાઇનલમાં બનેલી ઘટના છે.2025માં ભારતે પાકિસ્તાનને હરાવીને એશિયા કપનો ખિતાબ જીત્યો હતો.ત્યારબાદ ભારતીય ટીમે નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાનું ટાળ્યું હતું.ખેલાડીઓએ વ્યક્તિગત પુરસ્કારો મેળવ્યા હતા,પરંતુ વિજેતા ટ્રોફી સમારોહમાં સ્વીકારવામાં આવી નહોતી.

