ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 72 રનથી હરાવીને મહિલા એશિયા કપ 2026નો ખિતાબ જીતી લીધો.આ સાથે હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમે 8મી વખત એશિયા કપની ટ્રોફી પોતાના નામે કરી. જોકે, ભારતની ઐતિહાસિક જીત બાદ ટ્રોફી સેરેમની ચર્ચાનું કેન્દ્ર બની હતી. ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ મોહસિન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારી નહોતી.હવે BCCIના સચિવ દેવજીત સૈકિયાએ આ નિર્ણય પાછળનું કારણ સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું કે ભારતીય ટીમનો આ નિર્ણય દેશના લોકોની લાગણી અને ગયા વર્ષે પુરુષોની ટીમે અપનાવેલા વલણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો.
BCCI સચિવે શું કહ્યું?
દેવજીત સૈકિયાએ એક મીડિયા વાતચીત દરમિયાન પ્રથમ ભારતીય મહિલા ટીમના સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ફાઇનલમાં શ્રીલંકાને 72 રનથી હરાવનાર ભારતીય ટીમે સમગ્ર એશિયા કપમાં દબદબો જાળવી રાખ્યો હતો.ભારતે ટૂર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાનને પણ માત્ર 55 રનમાં ઓલઆઉટ કરીને મોટી જીત મેળવી હતી. સૈકિયાએ ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફને ઐતિહાસિક ખિતાબ માટે અભિનંદન આપ્યા અને જણાવ્યું કે હવે ટીમનું ધ્યાન એશિયન ગેમ્સમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીતવા પર છે.ટ્રોફી વિવાદ અંગે તેમણે કહ્યું કે ભારતીય ટીમનો નિર્ણય દેશની લાગણી અને ગયા વર્ષે પુરુષોની ટીમે અપનાવેલા વલણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો.ભારત બહુરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પાકિસ્તાન સામે રમે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે દરેક ઔપચારિકતા સ્વીકારવી જરૂરી છે.સૈકિયાએ સ્પષ્ટ કર્યું કે વર્તમાન સ્થિતિમાં કેટલાક લોકો પાસેથી ટ્રોફી સ્વીકારવી ભારત માટે યોગ્ય નથી. તેમણે યાદ અપાવ્યું કે લગભગ એક વર્ષ પહેલાં પુરુષોની ટીમ એશિયા કપ ચેમ્પિયન બની હતી ત્યારે પણ ટ્રોફીનો વિવાદ થયો હતો અને BCCI હજુ સુધી તે ટ્રોફી ભારતને પરત મળે તે માટે પ્રયાસ કરી રહ્યું છે.
