વર્ષ ૨૦૨૬ ના T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની ટીમની ગેરહાજરી અને તેને જોડાયેલા વિવાદ અંગે કેપ્ટન લિટન દાસે એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. એક ખાસ ઇન્ટરવ્યુમાં લિટન દાસે દાવો કર્યો છે કે બાંગ્લાદેશના ખેલાડીઓ કોઈપણ ભોગે ભારતમાં આવીને આ મોટી ટુર્નામેન્ટ રમવા માંગતા હતા, પરંતુ સુરક્ષાનું બહાનું ધરીને તેમને બળજબરીપૂર્વક રોકવામાં આવ્યા હતા. લિટનનું આ નિવેદન બાંગ્લાદેશની વડપણ હેઠળની સરકાર અને ક્રિકેટ બોર્ડને કઠેડામાં ઊભું કરે છે.
ભારતમાં સુરક્ષા નથી કહી રોકયા.. લિટન દાસ
લિટન દાસે વર્લ્ડ કપમાંથી ખસી જવા પાછળના ઈનસાઈડ સ્ટોરીનો પર્દાફાશ કરતા જણાવ્યું કે, ટુર્નામેન્ટ પહેલા ખેલાડીઓ અને અધિકારીઓ વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બોર્ડ દ્વારા ખેલાડીઓને કહેવામાં આવ્યું કે ભારતમાં સુરક્ષાની ગંભીર ચિંતાઓ છે, તેથી ટીમ ત્યાં નહીં જાય. જો કે, ખેલાડીઓ આ દલીલ સાથે બિલકુલ અસંમત હતા.
પાકિસ્તાનમાં ગાર્ડ તૈનાત હતા..લિટન દાસ
"તેઓએ અમને કહ્યું કે તે દેશ (ભારત) માં કોઈ સુરક્ષા નથી. અમે સામે જવાબ આપ્યો કે અમે પાકિસ્તાનમાં પણ રમ્યા છીએ, જ્યાં સુરક્ષા ગાર્ડ્સ અમારા રૂમની બહાર બંદૂકો લઈને ઊભા રહેતા હતા. આનાથી વધુ ખતરનાક કે કડક સુરક્ષા શું હોઈ શકે? જો અમે પાકિસ્તાનમાં રમી શકતા હોઈએ, તો ભારતમાં રમવામાં શું વાંધો હતો?"
લિટન દાસે મોહમ્મદ યુનુસ સરકારની નીતિઓ પર ઉઠ્યા સવાલો!
જ્યારે લિટન દાસને પૂછવામાં આવ્યું કે કેટલાક લોકો એવો દાવો કરી રહ્યા છે કે કોઈ ખેલાડીએ ભારત જઈને વર્લ્ડ કપ રમવાની ઈચ્છા નહોતી દર્શાવી, ત્યારે કેપ્ટને સણસણતો જવાબ આપ્યો હતો. તેણે કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ સત્તામાં હોય કે સત્તાની બહાર હોય, ત્યારે તેના નિવેદનો બદલાઈ જતા હોય છે. લિટન દાસનું આ નિવેદન સીધું જ બાંગ્લાદેશના કાર્યકારી વહીવટી વડા મોહમ્મદ યુનુસની સરકાર અને તે સમયની સત્તાવાર લાઇન પર મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરે છે.
બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને મળી હતી એન્ટ્રી
નોંધનીય છે કે આ વર્ષે રમાયેલા T20 વર્લ્ડ કપ પહેલા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ ભારતમાં મેચ રમવા સામે સુરક્ષા ચિંતાઓ દર્શાવી હતી અને અંતે પોતાની ટીમ પાછી ખેંચી લીધી હતી. બાંગ્લાદેશના આ વિવાદાસ્પદ નિર્ણય બાદ આઈસીસી (ICC) દ્વારા તેમના સ્થાને સ્કોટલેન્ડની ટીમને ટુર્નામેન્ટમાં સામેલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Vaibhav Suryavanshi દામ્બુલામાં ફેઈલ, શ્રીલંકા A સામે માત્ર 14 રનમાં આઉટ થતા ચાહકો થયા નિરાશ