આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ક્રિકેટને વધુ વૈશ્વિક રમત બનાવવાના ઉદ્દેશ સાથે T20 વર્લ્ડ કપના ફોર્મેટમાં મોટો ફેરફાર કરવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર, 2024 અને 2026ના T20 વર્લ્ડ કપમાં 20 ટીમોના સફળ આયોજન બાદ હવે ICC આગામી આવૃત્તિઓમાં ભાગ લેતી ટીમોની સંખ્યા વધારવા પર વિચાર કરી રહી છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે, તો 2030 અથવા 2032થી T20 વર્લ્ડ કપમાં 24 ટીમો અને ત્યારબાદ 32 ટીમો સુધીનો વિસ્તાર જોવા મળી શકે છે.
24 ટીમો સાથે ટુર્નામેન્ટનું નવું ફોર્મેટ
તાજેતરના વર્ષોમાં એસોસિયેટ દેશોના પ્રદર્શનને કારણે વધુ ટીમોને તક આપવાની માંગ મજબૂત બની છે.2026ના T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા જેવી મજબૂત ટીમોને હરાવી હતી.જ્યારે નેપાળ અને ઇટાલી જેવી ઉભરતી ટીમોએ પણ ઇંગ્લેન્ડ સામે કઠિન પડકાર ઉભો કર્યો હતો. આ પરિણામોએ સાબિત કર્યું કે નાના ક્રિકેટ દેશોમાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવાની ક્ષમતા છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં યોજાનારો 2028નો T20 વર્લ્ડ કપ આ વિસ્તરણ તરફનું મહત્વપૂર્ણ પગલું બની શકે છે. જો ટુર્નામેન્ટમાં 24 ટીમો સામેલ થશે, તો સ્પર્ધાનું માળખું પણ સંપૂર્ણપણે બદલાઈ જશે.
નવું ફોર્મેટ કેવું હશે?
પ્રસ્તાવિત ફોર્મેટ મુજબ, ટુર્નામેન્ટની શરૂઆત ચાર-ચાર ટીમોના કુલ છ ગ્રુપથી થશે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સુપર-12 તબક્કામાં પ્રવેશ કરશે. ત્યારબાદ સુપર-12માંથી શ્રેષ્ઠ ટીમો નોકઆઉટ રાઉન્ડમાં પહોંચશે અને અંતે ફાઇનલ મેચ દ્વારા ચેમ્પિયનનો નિર્ણય થશે.
કયા દેશોને મળશે સૌથી મોટો ફાયદો?
જો ટીમોની સંખ્યા 20થી વધીને 24 થશે, તો વર્તમાન T20 રેન્કિંગના આધારે યુગાન્ડા, પાપુઆ ન્યૂ ગિની, ઇટાલી અને હોંગકોંગ જેવી ટીમોને સીધો લાભ મળી શકે છે. ઉપરાંત અમેરિકા, કેનેડા, નેપાળ, નાઇજીરીયા અને જર્મની જેવા ઉભરતા ક્રિકેટ દેશો માટે પણ વર્લ્ડ કપમાં સ્થાન મેળવવાની તકો નોંધપાત્ર રીતે વધી જશે.
એસોસિયેટ દેશો માટે આશાનું નવું કિરણ
તાજેતરમાં વર્લ્ડ ક્રિકેટર્સ એસોસિએશન (WCA) અને એસોસિયેટ દેશોએ 2027ના ODI વર્લ્ડ કપની મુખ્ય સ્પર્ધામાં ટીમોની સંખ્યા 14થી ઘટાડીને 12 કરવાનો ICCનો નિર્ણયનો વિરોધ કર્યો હતો. જોકે, હવે T20 વર્લ્ડ કપના વિસ્તરણની યોજના અને 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં 128 વર્ષ બાદ ક્રિકેટની વાપસી જેવા નિર્ણયો એસોસિયેટ દેશો માટે નવી આશા લઈને આવ્યા છે.
આ પણ વાંચો - Vaibhav Sooryvanshiની આ બાબતથી નાખુશ છે હેડ કોચ, કહ્યું- 'આ ખામી દૂર કરવાની જરૂર...'