સચિન તેંડુલકરે 2 દાયકાથી વધુ સમય સુધી ભારતીય ક્રિકેટની સેવા કરી અને પોતાની બેટિંગથી અનેક રેકોર્ડ બનાવ્યા અને તોડ્યા. દેશને અસંખ્ય મેચ જીતાડ્યા બાદ ચાહકોએ તેમને ‘ક્રિકેટનો ભગવાન’નું બિરુદ આપ્યું. હવે ભારતીય ક્રિકેટમાં માત્ર 15 વર્ષની ઉંમરે પોતાની ઓળખ બનાવનાર વૈભવ સૂર્યવંશી પાસેથી પણ મોટી આશાઓ રાખવામાં આવી રહી છે.
બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ પણ કહ્યું છે કે તેઓ વૈભવ જેવા યુવા ખેલાડીઓને લાંબા સમય સુધી ભારતીય ટીમ માટે રમતા જોવા માંગે છે. જોકે કોઈપણ ખેલાડીને મહાન બનવા માટે માત્ર પ્રતિભા પૂરતી નથી. સતત મહેનત, યોગ્ય માર્ગદર્શન અને મુશ્કેલ સમયમાં ટીમનો સાથ પણ એટલો જ જરૂરી છે. વૈભવ સૂર્યવંશી લાંબી કારકિર્દી બનાવી શકે તે માટે આ 5 બાબતો મહત્વની બની શકે છે.
દરેક પરિસ્થિતિમાં વિશ્વાસ
કોઈપણ યુવા ખેલાડી માટે ટીમ મેનેજમેન્ટનો વિશ્વાસ ખૂબ મહત્વનો હોય છે. સારા અને ખરાબ બંને સમય દરમિયાન ખેલાડીની સાથે ઊભા રહેવું જરૂરી છે.સચિન તેંડુલકર,મહેન્દ્ર સિંહ ધોની,વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓને પણ તેમની કારકિર્દીમાં ટીમનો સતત સાથ મળ્યો હતો.વૈભવને પણ આવો જ વિશ્વાસ આપવામાં આવે તો તે પોતાની રમત પર વધુ ધ્યાન આપી શકશે.
પોતાની નબળાઈઓ પર કામ
વૈભવમાં પ્રતિભાની કોઈ કમી નથી,પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબા સમય સુધી સફળ રહેવા માટે પોતાની નબળાઈઓ દૂર કરવી પડશે.ખાસ કરીને તેમની રક્ષણાત્મક બેટિંગ પર કામ કરવાની જરૂર પડશે.શરૂઆતમાં ઝડપી રન બનાવ્યા બાદ પરિસ્થિતિ પ્રમાણે પોતાની રમત બદલવી અને મોટી ઇનિંગ્સ રમવાની કળા પણ શીખવી પડશે. સતત શીખવાની અને પોતાની ભૂલોમાંથી સુધારો કરવાની ટેવ તેમને વધુ સારો બેટર બનાવી શકે છે.
ફિટનેસને આપવું પડશે મહત્વ
લાંબી ક્રિકેટ કારકિર્દી માટે પ્રતિભા જેટલી જ ફિટનેસ પણ મહત્વની છે.સચિન,ધોની અને વિરાટ જેવા ખેલાડીઓએ લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવામાં પોતાની ફિટનેસનું મહત્વ સાબિત કર્યું છે.વૈભવ પણ નાની ઉંમરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવી ગયો છે. તેથી આગામી વર્ષોમાં તેના શરીર પર પડતા વર્કલોડનું યોગ્ય સંચાલન કરવું જરૂરી રહેશે.ફિટનેસ,આરામ,યોગ્ય આહાર અને નિષ્ણાતોના માર્ગદર્શનથી તેની કારકિર્દીને લાંબી બનાવી શકાય છે.
વધારાના દબાણથી દૂર રાખવો પડશે
વૈભવની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. આવી સ્થિતિમાં તેના પર વધારાનું દબાણ ન આવે તેની જવાબદારી બીસીસીઆઈ અને ટીમ મેનેજમેન્ટની રહેશે.નાની ઉંમરે તેને સતત રેકોર્ડ અને અપેક્ષાઓના દબાણમાં રાખવાને બદલે ખેલાડી તરીકે વિકસવા માટે યોગ્ય વાતાવરણ આપવું જરૂરી છે. ખાસ કરીને શરૂઆતના તબક્કામાં તેના પર કેપ્ટનશિપ જેવી વધારાની જવાબદારી મૂકતા પહેલાં પણ વિચાર કરવો પડશે.
સારા મેન્ટરની જરૂર
યુવા ખેલાડીની કારકિર્દીમાં યોગ્ય મેન્ટર ખૂબ મોટી ભૂમિકા ભજવી શકે છે.વૈભવને પણ એવા અનુભવી ખેલાડીઓનું માર્ગદર્શન મળવું જરૂરી છે,જે તેને મેદાનની સાથે મેદાન બહારની પરિસ્થિતિઓ માટે પણ તૈયાર કરી શકે.રાહુલ દ્રવિડ જેવા અનુભવી ખેલાડીઓ વૈભવ સાથે વાત કરતા રહ્યા છે. આવા દિગ્ગજોના માર્ગદર્શનથી વૈભવ પોતાની રમત,માનસિકતા અને કારકિર્દી અંગે વધુ સારી સમજ મેળવી શકે છે.વૈભવ પાસે પ્રતિભા અને સમય બંને છે. હવે તેને યોગ્ય માર્ગદર્શન, સતત મહેનત અને ટીમના વિશ્વાસ સાથે આગળ વધવાની જરૂર છે. જો આ 5 બાબતો પર યોગ્ય રીતે કામ કરવામાં આવે તો વૈભવ ભારતીય ક્રિકેટમાં લાંબી અને યાદગાર કારકિર્દી બનાવી શકે છે.
આ પણ વાંચો -T20 Series પહેલા શ્રીલંકાને મોટો ઝટકો, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
