વુમન્સ એશિયા કપ 2026ની ફાઇનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો સામનો વર્તમાન ચેમ્પિયન શ્રીલંકા સામે થશે.બંને ટીમોએ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ ગુમાવ્યા વિના ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે.હવે 13 સપ્ટેમ્બરે રમાનારી ખિતાબી મેચમાં ભારતની નજર શ્રીલંકાને હરાવીને ટ્રોફી જીતવા પર રહેશે.ભારતીય ટીમે સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 40 રનથી હરાવીને ફાઇનલની ટિકિટ મેળવી હતી.બીજી તરફ શ્રીલંકાએ પાકિસ્તાનને 4 વિકેટે હરાવીને ખિતાબી મુકાબલામાં પ્રવેશ કર્યો.આ કારણે ફાઇનલને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

T20Iમાં ભારતનો શ્રીલંકા સામે દબદબો

જો મહિલા T20I ક્રિકેટમાં ભારત અને શ્રીલંકા વચ્ચેના અત્યાર સુધીના મુકાબલાનો રેકોર્ડ જોઈએ તો ભારતીય ટીમનું પલડું સ્પષ્ટ રીતે ભારે છે.બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 31 T20I મેચ રમાઈ છે.ભારતે તેમાંથી 25 મેચમાં જીત મેળવી છે,જ્યારે શ્રીલંકા માત્ર 5 મેચ જીતી શક્યું છે.1 મેચનું પરિણામ આવ્યું નહોતું.આ આંકડા ભારત માટે આત્મવિશ્વાસ વધારનારા છે. જોકે, ફાઇનલમાં માત્ર જૂના રેકોર્ડના આધારે જીત નક્કી થઈ શકે નહીં.શ્રીલંકાની ટીમ વર્તમાન ટૂર્નામેન્ટમાં શાનદાર લયમાં છે અને પોતાના ખિતાબનો બચાવ કરવા માટે મેદાનમાં ઉતરશે.દુબઈની ધીમી પીચ પણ ફાઇનલમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આવી પીચ પર બેટિંગ કરવી સરળ રહેતી નથી અને બોલરોને પણ ફાયદો મળી શકે છે. ભારતીય ટીમે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાની રણનીતિ બનાવવી પડશે.

https://x.com/ImTanujSingh/status/2098477113322160274?s=20

એશિયા કપમાં શ્રીલંકાએ આપ્યો છે મોટો ઝટકો

મહિલા T20 એશિયા કપમાં ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધી 5 મેચ રમાઈ છે.આમાંથી ભારતે 4 મેચ જીતી છે,જ્યારે શ્રીલંકાએ 1 મેચમાં જીત મેળવી છે.પરંતુ શ્રીલંકાની આ એકમાત્ર જીત ભારતીય ટીમ માટે સૌથી મોટો ચેતવણી સંકેત છે.આ જીત 2024ના મહિલા T20 એશિયા કપની ફાઇનલમાં મળી હતી. શ્રીલંકાએ તે મુકાબલામાં ભારતને 8 વિકેટે હરાવીને પ્રથમ વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.હવે 2026ની ફાઇનલમાં ભારત પાસે તે હારનો બદલો લેવાની તક છે.બીજી તરફ શ્રીલંકાની ટીમ સતત બીજી વખત ખિતાબ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.

હરમનપ્રીત કૌર પર રહેશે નજર

ફાઇનલમાં ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પર પણ ખાસ નજર રહેશે.ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી તેમના બેટમાંથી અપેક્ષા મુજબનું મોટું યોગદાન જોવા મળ્યું નથી.ફાઇનલ જેવી મહત્વની મેચમાં તેમના અનુભવનો ભારતને મોટો ફાયદો મળી શકે છે.ભારતનો શ્રીલંકા સામેનો T20I રેકોર્ડ મજબૂત છે, પરંતુ વર્તમાન ફોર્મ અને ફાઇનલના દબાણને જોતા મુકાબલો રસપ્રદ રહેવાની પૂરી શક્યતા છે. એક તરફ ભારત જૂની હારનો હિસાબ સરભર કરવા માંગશે, તો બીજી તરફ શ્રીલંકા પોતાનો ખિતાબ જાળવી રાખવા માટે સંપૂર્ણ તાકાત લગાવશે.

આ પણ વાંચો - Fatima Sana : સેમીફાઈનલમાં કારમી હાર બાદ ભાંગી પડી પાક કેપ્ટન, જુઓ Video