જયપુરના કરધની પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ પરિવારની 4 મહિલાઓની હત્યાથી ચકચાર મચી ગઈ છે. 40 વર્ષીય ગીતા ઝા અને તેમની 3 દીકરીઓ નંદિની, રાધિકા અને ગૌરીના મૃતદેહ ઘરના અલગ-અલગ રૂમમાંથી મળી આવ્યા હતા. ચારેયના માથા અને ચહેરા પર ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા છે.

સૂતી વખતે જ હુમલો કરાયો હોવાની આશંકા

પોલીસની પ્રાથમિક તપાસમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચારેય મહિલાઓ જ્યારે ઊંઘી રહી હતી ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હોઈ શકે છે. મૃતક દીકરીઓની ઉંમર 15થી 22 વર્ષની વચ્ચે હોવાનું જણાવાયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફોરેન્સિક ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.

ઘરમાંથી સિમેન્ટનો બ્લોક મળ્યો

પોલીસને ઘટનાસ્થળેથી સિમેન્ટનો બ્લોક મળી આવ્યો છે. આશંકા છે કે આ જ બ્લોકથી મહિલાઓના માથા પર હુમલો કરવામાં આવ્યો હોઈ શકે છે. જોકે હત્યામાં આ જ હથિયારનો ઉપયોગ થયો હતો કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે.

પતિ પર શંકા, ઘટના બાદથી ફરાર

પ્રાથમિક તપાસમાં પોલીસની શંકાની સોય ગીતા ઝાના પતિ રાહુલ ઝા તરફ ગઈ છે. પરિવારિક વિવાદ પાછળ હત્યાનું કારણ હોઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના બાદ રાહુલ ઝા ફરાર હોવાનું અને તેમનો ફોન પણ બંધ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

4 હત્યા પાછળનું કારણ શું?

એક જ ઘરમાં માતા સહિત 3 દીકરીઓની હત્યાથી અનેક સવાલો ઊભા થયા છે. પોલીસ હવે હત્યાનું ચોક્કસ કારણ, હુમલાની પરિસ્થિતિ અને ઘટનાક્રમની કડીઓ જોડવામાં લાગી છે. આરોપી પતિની શોધ માટે પોલીસની અનેક ટીમો બનાવવામાં આવી છે.

ફોરેન્સિક તપાસથી ખુલશે હત્યાનું રહસ્ય?

સ્થળ પરથી મળેલા પુરાવા અને ફોરેન્સિક તપાસના આધારે પોલીસ હત્યાકાંડની ગૂંથણી ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે. ચારેય મહિલાઓને એક પછી એક નિશાન બનાવવામાં આવી કે ઘટના પાછળ કોઈ અન્ય વ્યક્તિની પણ ભૂમિકા છે, તે સહિતના તમામ પાસાઓ તપાસવામાં આવી રહ્યા છે. 


આ પણ વાંચો :   LPG Cylinder Booking Rules : ગામડાના ગ્રાહકો માટે મોટા સમાચાર, હવે 45 નહીં માત્ર 25 દિવસમાં બુક થશે ગેસ સિલિન્ડર