અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને શહેરના માણેકચોક વિસ્તારમાં મોટી સફળતા મળી છે. રાજકોટમાંથી થયેલી 120 કિલો ચાંદીની ચોરીના કેસમાં પોલીસે મુખ્ય આરોપી પ્રદીપ પ્રજાપતિની 40 કિલો ચાંદીના જથ્થા સાથે ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે રાજકોટથી ચોરી કરેલી ચાંદીનો જથ્થો વેચવા માટે આરોપી માણેકચોકના ઝવેરી બજારમાં આવવાનો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી આરોપીને મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો. આ કાર્યવાહીને કારણે ચોરેલી ચાંદી બજારમાં ઠલવાય તે પહેલાં જ પોલીસે તેને રિકવર કરી લીધી છે.
40 કિલો ચાંદી સાથે એકની ધરપકડ
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ ચોરીમાં અન્ય સાગરીતો પણ સામેલ છે. હાલમાં મુખ્ય આરોપી પ્રદીપ પાસેથી 40 કિલો ચાંદી જપ્ત કરવામાં આવી છે, જ્યારે બાકીના 80 કિલો ચાંદીના જથ્થા સાથે તેનો સાથીદાર કમલેશ હજુ પણ ફરાર છે. અમદાવાદ પોલીસની અલગ-અલગ ટીમો આ ફરાર આરોપીને પકડવા અને બાકીનો મુદ્દામાલ કબજે કરવા માટે રવાના કરવામાં આવી છે. આરોપીઓની પૂછપરછમાં રાજકોટમાં થયેલી આ મોટી ચોરી પાછળ અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને આ ચાંદી ક્યાં છુપાવવામાં આવી છે તેના મોટા ખુલાસા થવાની શક્યતા છે.













