સિંધુભવન જેવા પોશ વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવોનું પ્રમાણ વધ્યું છે ત્યારે તેણે લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે, બોડકદેવ, સિંધુભવન, રાજપથ રંગોલી રોડ, ઇસ્કોન આંબલી રોડ, મહંમદપુરા - VIP રોડ પર આવેલા મોટા ભાગના બંગ્લાઓમાંથી થયેલ ઘરફોડ ચોરીમાં 90 ટકા આરોપીઓ ઘરઘાટી નિકળ્યા છે.


સિંધુભવન રોડ જેવા પોશ વિસ્તારો અમદાવાદની ઓળખ છે

આમ છતાં, કરોડોની મિલ્કત ધરાવતા લોકો ઘરઘાટી, ડ્રાઇવર સહિતના કર્મીઓનું પોલીસ વેરીફિકેશન કરાવવાથી દૂર રહેતા હોય છે. તેના કારણે બેદરકારીથી ગુનેગારોને સીધી જ તક મળતી હોવાનું પોલીસ માની રહી છે. મહત્વનું છે કે, થોડા મહિના પહેલા સિંધુભવન રોડ પર એક પૂર્વ મંત્રીના સંબંધીને છરી મારીને બંધક બનાવીને લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા તે કેસમાં પણ આરોપી ઘરઘાટી નિકળ્યો હતો. સિંધુભવન રોડ જેવા પોશ વિસ્તારો અમદાવાદની ઓળખ છે અને ત્યાં ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, કંપની માલિકો અને રાજકીય પ્રભાવશાળી લોકોના કરોડોના બંગલાઓ આવેલા છે. આ બંગ્લામાં સિક્યુરિટી, સીસીટીવી જેવી સુવિધાઓ છે.

માલિકો બંગ્લામાં રાખતા ઘરઘાટીઓના રજીસ્ટ્રેશનમાં પાછીપાની કરે છે

આમ છતાં, ઘરમાંથી લાખો કરોડો રૂપિયાની ચોરીઓના બનાવ બને છે. અત્યાર સુધીમાં બોડકદેવ અને સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બંગ્લામાંથી થયેલ ચોરીઓમાં 90 ટકા આરોપીઓ ઘરઘાટી નિકળ્યા છે. તેના પાછળનું કારણ એ છે કે, ઘરઘાટી ઘરની અંદરની દરેક માહિતી જાણે છે, ક્યારે કોણ બહાર જાય છે. ક્યાં દાગીના રાખેલા છે. સીસીટીવી ક્યાં બ્લાઈન્ડ સ્પોટ છે. એ જ માહિતી ગુનેગારો માટે મહત્વની બની જતી હોય છે તેના કારણે તેઓ બિન્દાસપણે ચોરીને અંજામ આપતા હોય છે. સૌથી ગંભીર પ્રશ્ન એ છે કે, શિક્ષિત અને કંપની,ફેકટરીઓના માલિકો બંગ્લામાં રાખતા ઘરઘાટીઓના રજીસ્ટ્રેશનમાં પાછીપાની કરે છે.

ઘરઘાટીઓનું જે તે પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશન કરાવવામાં આવે તો કેસોની સંખ્યા ઘટી શકે છે

પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે રહેવાસીઓએ ઘરબંગલામાં કામ કરતા તમામ ઘરઘાટીઓ અને કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન ફરજિયાતપણે કરાવવું જ જોઈએ. જેથી જ્યારે ચોરી અથવા તો અન્ય કોઈ ઘટના બને ત્યારે પોલીસ તપાસ ઝડપી બને છે અને ગુનેગારો સુધી પહોંચી શકાય છે. શહેરના પોશ વિસ્તારમાં જેવા કે સિંધુભવન રોડ, રાજપથ રોડ, બોડકદેવ, વસ્ત્રાપુર, શેલા સહિતમાં આવેલી સોસાયટીઓ દ્વારા આ પ્રકારના રજિસ્ટ્રેશન કરાવવાનો ઉત્સાહ દાખવતા નથી. સરખેજ વિસ્તારમાં માત્ર 20 ટકા અને બોડકદેવ વિસ્તારમાં ૩૫ ટકા ઘરઘાટીઓનું જ પોલીસ વેરિફિકેશન થાય છે. એટલે કે ૬૦-૮૦ ટકા લોકો કોઈ ઓળખ-ચકાસણી વગર ઘરમાં પ્રવેશી જાય છે.


 
  • Follow us on: