છોટાઉદેપુરના કોરાજ ગામેથી એક અત્યંત સનસનાટીભર્યા અને હૃદયકંપાવનારા ગોઝારા સમાચાર સામે આવ્યા છે. કોરાજ ગામમાં એક જ ઘરમાંથી 3 સંતાનોની પરણિત માતાની નિર્મમ હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક મહિલાની ઓળખ ભારતી રાઠવા તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને વાયુવેગે આ સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા હતા.
પ્રેમસંબંધનો અંત લાવવા બાબતે રક્તપાત સર્જાયો
પોલીસની પ્રાથમિક તપાસમાં આ સનસનીખેજ હત્યા પાછળ અનૈતિક પ્રેમસંબંધ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. મૃતક ભારતી રાઠવાને તેના જ કૌટુંબિક ભત્રીજા સુનિલ રાઠવા સાથે લગ્નેતર પ્રેમસંબંધ હતો. જોકે, છેલ્લા કેટલાક સમયથી મહિલાએ આ અનૈતિક પ્રેમસંબંધ આગળ ન રાખવાનો અને સંબંધ તોડી નાખવાનો નિર્ણય કર્યો હતો. પ્રેમી સુનિલ રાઠવાને આ વાત સહન ન થતાં તેણે મનમાં ગાઢ અદાવત રાખી હતી.

મધરાતે ઘરમાં ઘૂસીને ચપ્પુના ઘા ઝીંક્યા
પ્રેમસંબંધ ન રાખવાની અદાવતમાં અંધ બની ગયેલો પ્રેમી સુનિલ રાઠવા મધરાતના સમયે ચૂપચાપ મહિલાના ઘરે પહોંચ્યો હતો. ઘરમાં ઘૂસીને તેણે ભારતી રાઠવા પર અચાનક હુમલો કરી દીધો હતો. તેણે મહિલાના માથાના અને પીઠના ભાગે ચપ્પુના આડેધડ ઊંડા ઘા ઝીંકીને તેને લોહીલુહાણ કરી નાખી હતી. ગંભીર ઈજાઓના કારણે મહિલાનું ઘટના સ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું અને હત્યારો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

FSL અને ડોગ સ્ક્વોડ સાથે પોલીસનો ધમધમાટ
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને છોટાઉદેપુર પોલીસની ટીમ તાત્કાલિક કોરાજ ગામે પહોંચી ગઈ હતી. ઘટના સ્થળેથી મહત્ત્વના પુરાવા એકત્ર કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી છે. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા હત્યારા કૌટુંબિક ભત્રીજા સુનિલ રાઠવાને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો - Chhota udepur Crime News: નસવાડી-આકોના ક્ષતિગ્રસ્ત માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું