દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકામાં તસ્કરોએ પવિત્ર મંદિરોને નિશાન બનાવતા ચકચાર મચી ગઈ છે. બેટ દ્વારકામાં આવેલા આવળ માતાજી અને સીકોતર માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને માતાજીના ઘરેણાં તેમજ દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી નાસી છૂટ્યા હતા.
ચોરીની ઘટના અને CCTV ફૂટેજ
મળતી માહિતી મુજબ, તસ્કરોએ ખૂબ જ આયોજનબદ્ધ રીતે બંને મંદિરોમાં ચોરી કરી હતી. આવળ માતાજીનું મંદિરમાં તસ્કરોએ દાનપેટીના તાળા તોડી તેમાંથી રહેલી તમામ રોકડ રકમની ચોરી કરી હતી. જ્યારે સીકોતર માતાજીનું મંદિરમાંથી માતાજીને અર્પણ કરવામાં આવેલા સોનાના ચાંદલા તેમજ અન્ય દાગીનાઓની ચોરી કરવામાં આવી હતી. તસ્કરોની આ તમામ હિલચાલ મંદિરના પરિસરમાં લાગેલા CCTV કેમેરામાં લાઈવ કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં તસ્કરો મંદિરમાં પ્રવેશતા અને ચોરી કરીને ભાગતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
