ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં વર્ષ 2018માં ધનતેરસના પવિત્ર દિવસે બનેલા અરેરાટીભર્યા વિમાનસી હત્યા કેસમાં અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી કશ્યપ પુરોહિતને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. વર્ષ 2018માં આરોપી કશ્યપે વિમાનસી નામની યુવતી પર છરી વડે હિંસક હુમલો કરી, તેને 35 જેટલા ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી. આ ઘટનાએ સમયે સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવી હતી. અદાલતે તમામ પુરાવા અને સાક્ષીઓની તપાસ બાદ આ ક્રૂર ગુના બદલ કશ્યપને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલની સજા સંભળાવી છે.
પિતાને પણ સજા
આ કેસમાં માત્ર કશ્યપ જ નહીં, પરંતુ તેના પિતા વિજય પુરોહિતને પણ ગુનામાં મદદ કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. પુત્રના આ પાપમાં સાથ આપવા અને પુરાવાઓ સાથે ચેડાં કરવામાં મદદ કરવા બદલ પિતાને 5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જોકે, આ કેસમાં સંડોવાયેલી અન્ય એક યુવતીને પૂરતા પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ જાહેર કરી છે. આ ચુકાદાથી વિમાનસીના પરિવારજનોએ વર્ષો બાદ ન્યાયનો અનુભવ કર્યો છે. આ કેસ એ સાબિત કરે છે કે કાયદો ગમે તેટલો સમય લે, પણ ગુનેગારને તેના કર્મોની સજા જરૂર મળે છે.













