નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં આવેલા સ્વામિનારાયણ મંદિર પરિસરમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. મંદિર પરિસરમાં આવેલી કેન્ટીનના પહેલા માળે એક 22 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા જ બીલીમોરા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
કેન્ટીનમાં નાયલોનની દોરી વડે લગાવી ફાંસી
ઘટનાની મળતી વિગતો અનુસાર, મૂળ છોટા ઉદેપુરના વતની અને હાલ બીલીમોરા રહેતા 22 વર્ષીય સચિન નાયકા નામના યુવાને મંદિર પરિસર સ્થિત કેન્ટીનના પહેલા માળે આવેલા રૂમમાં અંતિમ પગલું ભર્યું હતું. સચિને નાયલોનની દોરી વડે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. વહેલી સવારે આ ઘટનાની જાણ થતા જ મંદિર પરિસરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
પ્રેમપ્રકરણ હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ
યુવાનની આત્મહત્યા પાછળનું સત્તાવાર કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ બીલીમોરા પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમપ્રકરણ જવાબદાર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પ્રેમમાં નિષ્ફળતા અથવા મનદુઃખને કારણે યુવાને આ આત્મઘાતી પગલું ભર્યું હોવાની શક્યતા તપાસાઈ રહી છે.
પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો
બીલીમોરા પોલીસે હાલ આ મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. સચિનના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. યુવાન દીકરાના અકાળે અવસાનથી પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
આ પણ વાંચો - Navsari news: 16 ટન ખેરના લાકડા ઝડપાયા, કુખ્યાત લાકડાચોર અર્જુન પટેલની ધરપકડ