રંગીલા રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. રાજકોટ શહેરના મુખ્ય વેપારી મથક ગણાતા દાણાપીઠ વિસ્તારમાં તસ્કરોએ ખાતર પાડી પોલીસ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાડ્યા છે. રાત્રીના સમયે તસ્કરોએ એકસાથે ત્રણ દુકાનોના તાળા તોડી રોકડ રકમ અને માલસામાનની ચોરી કરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.
તેલના ડબ્બા અને ખજૂરની પણ ચોરી
ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટના 'એ' ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતા દાણાપીઠ વિસ્તારમાં તસ્કરોએ મોડી રાત્રે હાથફેરો કર્યો હતો. જેમાં નિમેષ ટ્રેડર્સ અને જલારામ ટ્રેડર્સ સહિતની ત્રણ દુકાનોને નિશાન બનાવવામાં આવી હતી. તસ્કરો માત્ર રોકડ જ નહીં, પરંતુ દુકાનમાંથી સીંગતેલના ડબ્બા, ખજૂર અને અન્ય સામાન પણ ઉઠાવી ગયા છે.













