છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ શહેરમાં બાળકોના અપહરણ કરતી ગેંગ સક્રિય હોવાની વાતો સોશિયલ મીડિયા અને સ્થાનિક વિસ્તારોમાં વાયુવેગે ફેલાઈ રહી છે. આ મામલે રાજકોટ પોલીસ એક્શનમાં આવી છે અને DCP ક્રાઈમ દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે કે, રાજકોટ શહેરમાં અપહરણની એક પણ ઘટના બની નથી.


ત્રણ વિસ્તારોમાં કથિત ઘટનાઓ અને હિંસા

રાજકોટ શહેરના અલગ-અલગ ત્રણ વિસ્તારોમાં બાળકોને ઉઠાવી જતી ગેંગ આવી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. આ ગેરસમજ એટલી હદે વધી ગઈ કે એક કિસ્સામાં લોકોએ કાયદો હાથમાં લીધો હતો. શંકાના આધારે ભિક્ષુક મહિલાઓને લોકોના ટોળાએ માર માર્યો હોવાની ઘટના પણ સામે આવી છે. લોકો હાલ ભય અને ગેરસમજનો શિકાર બની રહ્યા છે, જે સમાજ માટે ચિંતાનો વિષય છે.

DCP ક્રાઈમની લોકોને કડક સૂચના

રાજકોટ DCP ક્રાઈમ જગદીશ બાંગરવા દ્વારા સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે, બાળકોના અપહરણની અત્યાર સુધીમાં એક પણ સાચી ઘટના નોંધાઈ નથી. લોકોએ સોશિયલ મીડિયા પર વહેતી થતી અફવાઓથી દૂર રહેવું જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, જો કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય તો લોકોએ તેને માર મારવાને બદલે અથવા કાયદો હાથમાં લેવાને બદલે તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ.

પોલીસે ચેતવણી આપી છે કે, અફવા ફેલાવનારા અને કાયદો હાથમાં લેનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસ સતર્ક છે અને નાગરિકોને નિર્ભય રહેવા અનુરોધ કર્યો છે.


આ પણ વાંચો - Rajkot : બ્રહ્મ સમાજ ચોક નજીક બાળકો ઉઠાવી જવાનો આરોપ મૂકી ટોળાએ મહિલાને માર માર્યો, પોલીસ તપાસ શરુ


  • Follow us on: