અમિતાભ બચ્ચન ફરી એકવાર ભગવાન શ્રીરામના શરણે આવ્યા છે. બીગ બીએ પહેલાથી જ અયોધ્યામાં જમીન ખરીદી લીધી હતી, તેમણે હવે રામ મંદિરથી 10 કિલોમીટરના અંતરે ફરી જમીનનો સોદો કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ અહીં તેમના પિતા હરિવંશ રાય બચ્ચનનું સ્મારક બનાવશે. 'સુપરસ્ટાર ઓફ ધ સેન્ચ્યુરી', 'એમ્પરર ઓફ બોલિવૂડ', 'એન્ગ્રી યંગમેન' અને 'બિગ બી' જેવા નામોથી જાણીતા, ભારતીય સિનેમાના દિગ્ગજ અમિતાભ બચ્ચન બોલિવૂડના સૌથી ધનિક કલાકારોમાંના એક છે.
રામ મંદિરથી થોડી દૂર સ્મારક
ફિલ્મો અને ટીવી શો ઉપરાંત, તેમની પાસે આવકના ઘણા અન્ય સ્ત્રોત છે. તેમણે ઘણી મિલકતોમાં પણ રોકાણ કર્યું છે અને હવે અભિનેતાએ ફરી એકવાર ભગવાન શ્રી રામના શહેર અયોધ્યામાં જમીન ખરીદી છે. વર્ષ 2024 માં જ તેમણે અયોધ્યામાં 4.54 કરોડ રૂપિયાની જમીન ખરીદી હતી અને હવે ફરી એકવાર પીઢ અભિનેતાએ અહીં મોટો સોદો કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સોદો અમિતાભ બચ્ચન અને બિગ બીના પિતા હરિવંશ રાય બચ્ચનના નામ પર બનેલા ટ્રસ્ટ વતી રાજેશ ઋષિકેશ યાદવે કર્યો છે. આ જમીન તિહુરા માંઝા વિસ્તારમાં ભગવાન રામના મંદિરથી 10 કિમી દૂર આવેલી છે, જે 54 હજાર 454 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે.
અમિતાભના પિતાના નામે એક સ્મારક બનાવવામાં આવશે
આ જમીન માટે 86 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમિતાભે આ જમીન તેમની પત્ની કે બાળકો માટે નહીં પરંતુ તેમના સ્વર્ગસ્થ પિતા અને પ્રખ્યાત કવિ હરિવંશ રાય બચ્ચન માટે ખરીદી છે. બિગ બી આ જમીન પર હરિવંશ રાય બચ્ચનનું સ્મારક બનાવવા જઈ રહ્યા છે. પરંતુ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જ્યારે માહિતી એવી પણ બહાર આવી રહી છે કે આ જમીનનો ઉપયોગ સામાજિક કે ધાર્મિક કાર્ય માટે પણ થઈ શકે છે. અયોધ્યાના સ્ટેમ્પ અને નોંધણી વિભાગના સહાયક નિરીક્ષક પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે, “હાલમાં, વેચાણનું કામ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે સ્થાનિક વિકાસ સત્તામંડળ દ્વારા મકાન યોજના મંજૂર કરવામાં આવશે, ત્યારે જમીન કયા હેતુ માટે ખરીદવામાં આવી છે તે જાણી શકાશે.
હરિવંશ રાય બચ્ચન મેમોરિયલ ટ્રસ્ટની શરૂઆત 2013 માં થઈ
અમિતાભ બચ્ચને 2013 માં તેમના પિતાની યાદમાં હરિવંશ રાય બચ્ચન મેમોરિયલ ટ્રસ્ટની શરૂઆત કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે આ ટ્રસ્ટ ધાર્મિક કાર્યો માટે ભંડોળ એકત્ર કરવાનું કામ કરશે. બિગ બીના પિતા એક પ્રખ્યાત કવિ હતા. તેમનું અવસાન 18 જાન્યુઆરી 2003ના રોજ મુંબઈમાં થયું.