ગુજરાતમાં દર વર્ષે વરસાદ આવે છે, નદીઓ છલકાય છે, ચેકડેમ અને તળાવો ભરાઈ જાય છે અને અનેક સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે. પરંતુ વરસાદ અને પૂરની ચર્ચા વચ્ચે એક ગંભીર મુદ્દો ઘણી વખત પાછળ રહી જાય છે અને તે છે. ડૂબવાથી થતા મૃત્યુ..
આ વર્ષે અત્યાર સુધીમાં 23 ડૂબવાના બનાવોમાં 77 લોકોના મોત
ગુજરાતમાં 2026 દરમિયાન નદી, ચેકડેમ, તળાવ, કેનાલ, કુંડ, પાણીની ટાંકી અને સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાના બનાવોએ ગંભીર ચિંતા ઉભી કરી છે. આપેલી માહિતીના સંકલન મુજબ અલગ અલગ સ્થળોએ બનેલા કુલ 23 ડૂબવાના બનાવોમાં ઓછામાં ઓછા 77 લોકોના મોત થયા છે. મોરબીમાં રફળેશ્વર મહાદેવ મંદિરના કુંડમાં ભીડના કારણે એક આધેડનું મોત થયું હતું. ખારા ગામ પાસે વિસ ડેમમાં એક યુવક ડૂબ્યો હતો, જ્યારે લીલીયાના ગાગડિયો નદીમાં નાહવા પડેલા 36 વર્ષીય યુવાનનું મોત થયું હતું. રાજકોટ જિલ્લામાં ડૂબવાના અનેક ગંભીર બનાવો સામે આવ્યા હતા. પડધરીના દહિસરડા ગામે ચેકડેમમાં નાહવા પડેલા ચાર બાળકોના મોત થયા હતા. બેડી-હડમતીયા માર્ગ પર આવેલા પાણીના સ્થળે પણ ત્રણ બાળકો સહિત ચાર લોકોના જીવ ગયા હતા. સાબરકાંઠામાં સાબરમતી નદીમાં નાહવા ગયેલા બે યુવાનોના મોત થયા હતા. તળાજામાં બે કિશોરો તળાવમાં ડૂબી ગયા હતા. પલસાણાની નહેરમાં બાઈક સાથે ખાબકેલા બે યુવકોના પણ મોત થયા હતા.. ઉપરાંંત પાટણની નર્મદા કેનાલમાં બે મિત્રો, ઉમેટાના રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં બે માસૂમ બાળકો અને શિનોરની નર્મદા નદીમાં માછલી પકડવા ગયેલા એક આધેડનું મોત થયું હતું. અંકલેશ્વરમાં પાણીની ટાંકી, સુરેન્દ્રનગરમાં તળાવ, નડિયાદમાં રામદેવ સરોવર, વડોદરામાં નર્મદા કેનાલ અને અમરેલીના તળાવમાં પણ ડૂબી જવાથી અલગ અલગ લોકોના મોત થયા હતા. આ ઉપરાંત 16 ઓગસ્ટે એક જ રવિવારે 7 લોકો, 31 ઓગસ્ટે ત્રણ સગી બહેનો, ધાતરવડી નદીમાં બે બાળકો, વોટર પાર્કમાં એક બાળક અને નર્મદા મુખ્ય કેનાલમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત નોંધાયા હતા. આ વર્ષે ધૂળેટી દરમિયાન નદી અને કેનાલમાં નાહવા જતા 32 લોકોના મોતનો આંકડો આ સમગ્ર ચિત્રને વધુ ભયાનક બનાવે છે. રાજ્યમાં આ વર્ષે અત્યાર સુધી કુલ 23 ઘટનાઓમાં ઓછામાં ઓછા 77 લોકોના મોત થયા છે.
માત્ર પૂર હોય તો જ ડૂબવાથી મોત થતા નથી
ડૂબવાથી થતા મોત માત્ર પૂરના દિવસોમાં જ થતા નથી. કોઈ નદીમાં નાહવા જાય છે અને પરત આવતો નથી, કોઈ ચેકડેમમાં પાણીની ઊંડાઈનો અંદાજ લગાવી શકતો નથી, કોઈ તળાવમાં લપસી પડે છે, તો કોઈ વરસાદી પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ જાય છે. સવાલ એ છે કે ગુજરાતમાં આટલા લોકો ડૂબી રહ્યા છે, છતાં શું આપણે જાણીએ છીએ કે સૌથી વધુ મોત ક્યાં થાય છે અને શા માટે થાય છે?
2024માં જ 1,999 લોકોના ડૂબવાથી મોત
એનસીઆરબીના 2024ના આંકડા મુજબ ગુજરાતમાં ડૂબવાથી 1,999 લોકોના મૃત્યુ નોંધાયા હતા. આમાંથી 1,694 પુરુષ અને 305 મહિલાઓના મોત થયા હતા.

1,350 લોકોના મોત પાણીમાં પડવાથી થયા હતા
આંકડામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે 1,350 લોકોના મોત પાણીના સ્ત્રોતમાં અકસ્માતે પડી જવાથી થયા હતા. જ્યારે અન્ય ડૂબવાના બનાવોમાં 640 લોકોના મોત નોંધાયા હતા. નાવડી પલટી જવાથી પણ 9 લોકોના મોત થયા હતા. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ગુજરાતમાં ડૂબવાથી થતા મોટા ભાગના મોત માત્ર પૂરના પાણીમાં થતા નથી. નદી, તળાવ, ચેકડેમ, કેનાલ અને અન્ય પાણીના સ્ત્રોતો પણ મોટી સંખ્યામાં લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે.
પૂરના મૃત્યુ અને ડૂબવાના મૃત્યુ વચ્ચે મોટો તફાવત
વરસાદી સિઝનમાં જ્યારે પૂર આવે છે ત્યારે મૃત્યુના સમાચાર મોટા પ્રમાણમાં સામે આવે છે. પરંતુ આખા વર્ષ દરમિયાન થતા ડૂબવાના બનાવોની સંખ્યા ઘણી વધારે છે. 2024માં દક્ષિણ ગુજરાત અને અન્ય વિસ્તારોમાં સર્જાયેલી પૂરની સ્થિતિમાં માનવ મૃત્યુ નોંધાયા હતા અને બચાવ દળોને મોટા પ્રમાણમાં તૈનાત કરવામાં આવ્યા હતા. પરંતુ બીજી તરફ આખા વર્ષમાં ડૂબવાથી 1,999 લોકોના મોત થયા હતા. એટલે એક વાત સ્પષ્ટ છે કે પૂરના દિવસોમાં થતા મોત આપણને દેખાય છે, પરંતુ બાકીના દિવસોમાં નદી, તળાવ અને ચેકડેમમાં થતા મોત એક એવી ગંભીર સમસ્યા છે જેના પર પૂરતી ચર્ચા થતી નથી. શું ગુજરાતમાં ડૂબવાથી થતા મોત એક શાંત આપત્તિ બની રહ્યા છે?

2026માં ધુળેટીના દિવસે જ 32 લોકોના મોત
2026માં સામે આવેલી એક ઘટનાએ સમગ્ર ગુજરાતને ચોંકાવી દીધું હતું. ધુળેટીના દિવસે રાજ્યમાં નદી, કેનાલ અને તળાવોમાં નાહવા અથવા ડૂબકી મારવા ગયેલા ઓછામાં ઓછા 32 લોકો ડૂબી ગયા હતા. સુરતમાં સૌથી વધુ 10 લોકોના મોત થયા હતા, જ્યારે અમદાવાદમાં 7 લોકોના મોત નોંધાયા હતા. રાજકોટ, મહીસાગર, વડોદરા, મહેસાણા અને અરવલ્લી સહિતના અન્ય વિસ્તારોમાં પણ ડૂબવાના બનાવો બન્યા હતા.
આ ઘટના એક મોટો પ્રશ્ન ઉભો કરે છે.
સવાલ એ છે કે શું લોકોને જોખમની ખબર નથી? કે પછી લોકોને ખબર હોવા છતાં તેઓ જોખમ લે છે? અને જો દર વર્ષે તહેવારો અને રજાના દિવસોમાં લોકો મોટી સંખ્યામાં નદી અને ચેકડેમમાં નાહવા જાય છે, તો શું તંત્રને પહેલેથી ખબર નથી હોતી કે આવા દિવસોમાં દુર્ઘટનાનું જોખમ વધી શકે છે?
માત્ર ચેતવણીનો પાટિયું લગાવવાથી જવાબદારી પૂરી થઈ જાય?
ઘણા જોખમી પાણીના સ્થળોએ એક પાટિયું જોવા મળે છે—અહીં નાહવું જોખમી છે. પરંતુ સવાલ એ છે કે માત્ર ચેતવણી લખવાથી જોખમ અટકી જાય છે? જો કોઈ ચેકડેમ કે નદીમાં વારંવાર લોકો ડૂબતા હોય તો ત્યાં સુરક્ષા માટે શું પગલાં લેવાયા છે? લોકો પાણી સુધી ન પહોંચે તેવી વ્યવસ્થા છે? તહેવારના દિવસે પોલીસ તૈનાત હોય છે? બચાવ માટે દોરડા અને જીવનરક્ષક સાધનો ઉપલબ્ધ હોય છે? પાણીમાં ઉતરતા લોકોને રોકવા માટે કોઈ હોય છે? માત્ર પાટિયું લગાવી દેવાથી જીવ બચી શકતા નથી. જો કોઈ સ્થળ વારંવાર જીવલેણ સાબિત થઈ રહ્યું હોય તો ત્યાં કાયમી સુરક્ષા વ્યવસ્થા જરૂરી છે.

વરસાદ પછી ચેકડેમ અને નાના જળાશયો કેમ બની જાય છે જીવલેણ?
ચેકડેમ કે નાનો જળાશય બહારથી શાંત દેખાતો હોય છે. પાણીની સપાટી જોઈને લોકોને લાગે છે કે અહીં નાહવું સલામત હશે. પરંતુ પાણીની નીચેની સ્થિતિ સંપૂર્ણપણે અલગ હોઈ શકે છે. ભારે વરસાદ પછી પાણીની ઊંડાઈ અચાનક વધી જાય છે. ગઈકાલે જ્યાં પાણી ઓછું હતું ત્યાં આજે ઊંડો ખાડો બની ગયો હોઈ શકે છે. વરસાદી પાણી સાથે માટી આવવાથી તળિયું દેખાતું નથી. પાણીની નીચે ઊંડા ખાડા હોઈ શકે, તૂટેલો કિનારો હોઈ શકે, લપસણાં પથ્થરો હોઈ શકે, કાદવ હોઈ શકે કે પછી પાણીનો જોરદાર પ્રવાહ હોઈ શકે. સૌથી મોટું જોખમ એ છે કે પાણી ઉપરથી શાંત દેખાય છે. પરંતુ અંદરનો પ્રવાહ માણસને ખેંચી શકે છે. એકવાર માણસ લપસી જાય અથવા ઊંડા પાણીમાં પહોંચી જાય પછી ગભરાટ વધે છે અને બચવું મુશ્કેલ બની જાય છે.
ગામડાઓમાં પાણીની ઊંડાઈનો અંદાજ કેમ લગાવી શકાતો નથી?
ગ્રામ્ય વિસ્તારોમાં અનેક નદીઓ, ચેકડેમ અને તળાવો વરસાદી પાણીથી ભરાઈ જાય છે. ઘણા લોકો વર્ષોથી એ જ સ્થળે નાહતા હોય છે. એટલે તેમને લાગે છે કે પાણીની સ્થિતિની તેમને સંપૂર્ણ જાણ છે. પરંતુ ભારે વરસાદ પછી પાણીનો વિસ્તાર અને તળિયું બંને બદલાઈ શકે છે. એક જ સ્થળ ગઈકાલે છીછરું હોય અને આજે ખૂબ ઊંડું બની ગયું હોય શકે છે. ખાસ કરીને સાંજના સમયે અથવા રાત્રે જોખમ અનેક ગણું વધી જાય છે. પાણી કેટલું ઊંડું છે અને અંદર પ્રવાહ કેટલો છે તેનો અંદાજ લગાવવો અત્યંત મુશ્કેલ બને છે.
શું ગુજરાતમાં ડૂબવાથી થતા મોત માટે જિલ્લાવાર કોઈ પેટર્ન છે?
જો સરકાર પાસે દર વર્ષે ડૂબવાથી થતા મૃત્યુનો વિસ્તાર અને કારણ પ્રમાણે ચોક્કસ આંકડો હોય તો સૌથી જોખમી સ્થળોની ઓળખ સરળતાથી થઈ શકે. પરંતુ હાલમાં ઘટના પછી કાર્યવાહી થાય છે, જ્યારે ઘટનાથી પહેલાં જોખમ અટકાવવા માટે જરૂરી માહિતીનો અભાવ જોવા મળે છે.
બચાવ દળોના આંકડો શું કહે છે?
પૂર અને ભારે વરસાદની સ્થિતિમાં બચાવ દળોને મોટી સંખ્યામાં લોકોને બચાવવા માટે મેદાનમાં ઉતરવું પડે છે. અનેક લોકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવે છે અને હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે છે. આનો અર્થ એ છે કે મૃત્યુનો આંકડો માત્ર એટલું નથી બતાવતો કે કેટલા લોકોના જીવ ગયા. બચાવ દળોનો આંકડો બતાવે છે કે કેટલા લોકો એવા જોખમમાં હતા જ્યાં થોડો વિલંબ થયો હોત તો મૃત્યુ થઈ શક્યું હોત. સવાલ એ છે કે જો બચાવ દળોને દર વર્ષે વારંવાર આવી જ જગ્યાએ લોકો બચાવવા જવું પડે છે તો શું એ સ્થળોને પહેલેથી જોખમી જાહેર કરી શકાય નહીં?
ભારે વરસાદ અને અચાનક પૂરની સ્થિતિ શું જોખમ વધારી રહી છે?
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભારે વરસાદની ઘટનાઓ ગંભીર મુદ્દો બની રહી છે. ટૂંકા સમયમાં ખૂબ જ ભારે વરસાદ પડવાથી નદીઓ અચાનક ભરાઈ જાય છે. નાના ચેકડેમ અને જળાશયોમાં પાણીનું સ્તર ઝડપથી વધી જાય છે. ઘણા વખત ઉપરવાસમાં વરસાદ પડ્યો હોય ત્યારે નીચેવાસમાં પાણીનો જોરદાર પ્રવાહ અચાનક આવી શકે છે. એટલે જ્યાં વરસાદ ન પડતો હોય ત્યાં પણ નદી અચાનક ભરાઈ શકે છે. આ જ કારણ છે કે વરસાદી દિવસોમાં નદી અને ચેકડેમની આસપાસ જવું જોખમી બની શકે છે.

તો આ મૃત્યુ કેવી રીતે અટકાવી શકાય?
ગુજરાતમાં ડૂબવાથી થતા મૃત્યુ અટકાવવા માટે માત્ર લોકોને સમજાવવાથી કામ નહીં ચાલે. સરકારે અને સ્થાનિક તંત્રએ જોખમી સ્થળોની યાદી તૈયાર કરવી જોઈએ. જે સ્થળોએ વારંવાર લોકો ડૂબ્યા હોય તેને અત્યંત જોખમી વિસ્તાર જાહેર કરવા જોઈએ અને તે સ્થળ પાસે મજબૂત સુરક્ષાની વાડ કરવી જોઇએ કે અને તળાવ કે ચેકડેમ કે નદીના પાણી સુધી પહોંચતા રસ્તા બંધ કરવા જોઇએ . આ સાથે અગાઉથી જ સ્પષ્ટ ચેતવણી આપવી જોઇએ અને ખાસ કરીને તહેવાર અને રજાના દિવસે પોલીસ અને ફાયર બ્રિગેડનો બંદોબસ્ત ગોઠવવો જોઇએ અને તેમાં પણ બચાવ સાધનોની સાથે સ્થાનિક સ્વયંસેવકો ફરજિયાત કરવા જોઈએ.

આખરે જવાબદારી કોની?
દરેક ડૂબવાના બનાવ પછી એક સામાન્ય વાત સાંભળવા મળે છે કે ચેતવણી આપી હોવા છતાં લોકો પાણીમાં ગયા. એક વાત તો સાચી છે કે લોકોની બેદરકારી પણ અનેક વખત જવાબદાર હોય છે. પરંતુ જો એક જ સ્થળે દર વર્ષે લોકો ડૂબતા હોય તો શું જવાબદારી માત્ર પાણીમાં ઉતરેલા વ્યક્તિની જ છે? કે પછી તે જોખમી સ્થળ ખુલ્લું રાખનારી વ્યવસ્થાની પણ જવાબદારી છે? તે પણ મોટો સવાલ છે
ગુજરાતમાં ડૂબવાથી થતા મોત માત્ર કુદરતી આપત્તિ નથી.
આમાં લોકોની બેદરકારી છે, પરંતુ સાથે જોખમી સ્થળોની ઓળખનો અભાવ, પૂરતી સુરક્ષા વ્યવસ્થાનો અભાવ અને ચોક્કસ માહિતીના અભાવનો પણ મોટો પ્રશ્ન છે. કદાચ હવે સમય આવી ગયો છે કે ગુજરાતમાં ડૂબવાથી થતા દરેક મૃત્યુને માત્ર અકસ્માત ન માનવામાં આવે.. દરેક મૃત્યુ પછી એક પ્રશ્ન પૂછવો જોઈએ—આ માણસ ખરેખર બચી શકતો હતો? જો જવાબ હા હોય, તો પછી આગામી મૃત્યુ પહેલાં શું બદલાશે?
આ પણ વાંચો : Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?